અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સ્મૃતિ ઇરાની દિલ્હીથી રવિવારે બપોરે અમેઠી પહોંચી હતી. સ્મૃતિએ સુરેન્દ્રના દુખી પરિવારને સાંત્વના આપવાની સાથે જ મૃતદેહને કંધો પણ આપ્યો હતો. સ્મૃતિએ કહ્યું હતું કે હત્યા કરનાર લોકોને છોડવામાં આવશે નહીં. હત્યા કરનાર અને કરાવનાર બંનેને કડક સજા મળશે.
યૂપીના અમેઠીમાં ભાજપના નેતા અને સ્મૃતિ ઈરાનીના નજીકના સુરેન્દ્ર સિંહની હત્યાના મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રામચંદ્ર, ધર્મનાથ અને નસીમ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
સુરેન્દ્રસિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ આરોપીએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો કે જ્યારે સુરેન્દ્રસિંહ પોતાના ઘરની બહાર સૂઈ રહ્યા હતા. ત્યારે આ આરોપીએ તેમના પર અંધાધૂધ ફાયરિંગ કર્યું હતુ. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના હાજર તબીબોએ તેમને લખનઉ હોસ્પિટલ રેફર કર્યા હતા. ત્યારે રસ્તામાં જ સુરેન્દ્રસિંહે દમ તોડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાનીના ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની મહત્વની ભૂમિકા રહી હતી. સુરેન્દ્ર સિંહને સ્મૃતિ ઈરાનીના ખૂબ જ નજીકના ગણવામાં આવતા હતા. કહેવામાં આવે છે કે સુરેન્દ્ર સિંહનો પ્રભાવ આ વિસ્તારમાં વધારે છે.