અમેરિકાએ ભારત અને પાકિસ્તાનની મુસાફરી કરતા પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરીને કહ્યું બંને દેશોમાં પ્રવાસ કરતી વખતે ખાસ સાવધાની રાખો
અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે
ભારતમાં વધી રહેલા ગુનાઓનો ઉલ્લેખ કરાયો
પાકિસ્તાનની ધમકીઓને પણ ગણકારવામાં આવી હતી
અમેરિકાએ પોતાના નાગરિકો માટે ટ્રાવેસ એડવાઈઝરી જાહેર કરીઅમેરિકાએ પોતાના નાગરિકો માટે ટ્રાવેસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારત અને પાકિસ્તાનનો ઉલ્લેથ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનને લઈને અમેરિકાએ પોતાના નાગરિકોને એલર્ટ કરતાં કહ્યું છે કે, આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાના કારણે પાકિસ્તાનની મુલાકાત પર પુનર્વિચાર કરો. બીજી બાજુ ભારત વિશે એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે અપરાધ અને આતંકવાદના કારણે આ દેશમાં પ્રવાસ કરનારાઓએ વધુ સાવચેત રહેવું જોઈએ.
આ અહેવાલમાં સરકારની મર્યાદિત ક્ષમતાને ટાંકવામાં આવી છે.
એડવાઈઝરીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ કોઈપણ ચેતવણી વિના હુમલો કરી શકે છે. પ્રવાસન સ્થળો, પરિવહન કેન્દ્રો, શોપિંગ મોલ વગેરેને નિશાન બનાવી શકે છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે.જો બિડેન વહીવટીતંત્રે કહ્યું છે કે યુએસ સરકાર પાસે ભારતના પશ્ચિમ બંગાળથી પૂર્વી મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં તેના નાગરિકોને ઈમરજન્સીની સેવાઓ પૂરી પાડવાની મર્યાદિત ક્ષમતા છે, કારણ કે સરકારી કર્મચારીઓને આ વિસ્તારોમાં મુસાફરી કરવા માટે પરવાનગી જરૂરી છે.
જમ્મુ-કાશ્મીર ન જવાની સલાહ
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકોને આતંકવાદ અને અશાંતિના કારણે જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવા વિનંતી કરી છે. ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાને ધ્યાનમાં રાખીને સરહદના 10 કિલોમીટરની અંદર જવાનું ટાળો. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં બળાત્કાર સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓમાંનો એક છે. પર્યટન સ્થળો પર જાતીય સતામણી જેવા હિંસક ગુનાઓ પણ બન્યા છે, તેથી ખાસ સાવચેતી રાખવી જોઈએ.
પાકિસ્તાનમાં આ ખતરાઓનો ઉલ્લેખ કર્યો
અમેરિકાએ પાકિસ્તાન માટે જાહેર કરાયેલી તેની એડવાઈઝરીમાં અમેરિકાએ આંતકવાદી હુમલા અને અપહરણના ખતરાને ટાંકીને અમેરિકી નાગરિકોને બલૂચિસ્તાન પ્રાંત અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મુસાફરી ન કરવા વિનંતી કરી છે. આ સાથે સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાને કારણે નિયંત્રણ રેખાની આસપાસના વિસ્તારોમાં ન જવા માટે પણ કહેવામાં આવ્યું છે. એડવાઈઝરી મુજબ આતંકી સંગઠનો હજુ પણ પાકિસ્તાનમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે.