ભારત સહિત દુનિયાના 17 દેશ હાલ ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યા છે. જો આ સમસ્યા પર પૂરતું ધ્યાન આપીને તેનું નિરાકરણ શોધવામાં નહીં આવે તો બહુ જલ્દી આ દેશોમાં પીવાના પાણીનું એક ટીપું પણ નહીં બચે. ધ વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યુટ (WRI)એ એક રિપોર્ટમાં આ ખતરા અંગે ચેતવણી જારી કરી છે.
WRIએ પાણીની અછત, પૂર અને દુષ્કાળના ખતરાના આધારે 189 દેશો અને તેમના પ્રાંતોને પોતાની યાદીમાં અલગ-અલગ સ્થાન પર મૂક્યા છે. જળસંકટના પ્રશ્ને ભારત આ યાદીમાં 13મા સ્થાને છે. ભારત માટે આ મોરચે અનેક મોટા પડકારો છે, કેમ કે આપણી વસ્તી જળસંકટનો સામનો કરી રહેલા અન્ય 16 દેશો કરતા ત્રણ ગણી વધારે છે. આ સૌથી ચિંતાજનક બાબત છે.
રિપોર્ટમાં જળસંકટની ઓળખ માટે 13 સંકેતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ભૂજળ ભંડાર અને તેમાં સતત થઈ રહેલો ઘટાડો પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર, ઉત્તર ભારતમાં ભૂ-જળસ્તરની કમી ગંભીર સંકટ છે. ભારતના જળ સંસાધન મંત્રાલયના પૂર્વ સચિવ અને WRI ઈન્ડિયાના સભ્ય શશિ શેખરે જણાવ્યું કે, હાલમાં જ ચેન્નઈના જળસંકટને કારણે સમગ્ર દુનિયાનું ધ્યાન ભારત તરફ કેન્દ્રિત થયું હતું. આ ઉપરાંત પણ ભારતના એવા અનેક વિસ્તારો છે, જ્યાં પીવાના પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે.
તેમણે જણાવ્યું કે, ભારત વરસાદી પાણી, ભૂજળ અને નદીઓમાં હાલ પાણીનો જે જથ્થો છે તેના આંકડાઓના આધાર પર ચોક્કસ રણનીતિ બનાવીને જળસંકટનો સામનો કરી શકે તેમ છે. રિપોર્ટ પ્રમાણે જળસંકટ સામે ઝઝૂમી રહેલા 17માંથી 12 દેશ પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના છે. આ તમામ દેશોમાં ભૂજળ અને નદીઓના જળનો 80 ટકા હિસ્સો કૃષિ, ઉદ્યોગ અને નગરનિગમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.
જળવાયુ પરિવર્તનના કારણે વધી રહેલા અને સતત ગંભીર બનતા જળસંકટથી હવે દુનિયા સામે મોટો ખતરો ઊભો થયો છે. WRIના અધ્યક્ષ એન્ડ્ર્યુ સ્ટીરે જણાવ્યું કે, પાણીની અછત એ હાલના સમયનું સૌથી મોટું સંકટ છે. આ અત્યંત ગંભીર મુદ્દો હોવા છતાં પણ તેના વિશે વાત કરવા કોઈ તૈયાર નથી.
આજે પણ લોકોને લાગે છે કે, પૃથ્વી ઉપર પાણીનો અમર્યાદિત જથ્થો છે અને તેના કારણે તેમના અસ્તિત્વ સામે કોઈ ખતરો નથી, પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે. જળસંકટના કારણે આજે ખાદ્ય અસુરક્ષા, સંઘર્ષ, પલાયનવાદ અને નાણાકીય અસ્થિરતા જેવી અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે.