આમ તો અમેરિકા જવું એ સામાન્ય વ્યક્તિ માટે તો સ્વપ્ન જ છે, અને અઘરૂ પણ છે. જો તમે અમેરિકા જવાનું વિચારતા હોવ તો તમારા માટે ટ્રંપનો એક નિર્ણય મુશ્કેલ સાબિત થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે નોન-ઈમિગ્રેંટ વીઝા પર અમેરિકા આવનારા લોકોની સંખ્યા ઓછી કરવાનો નિર્ણય લીધો છે.
ટ્રંપે નિર્ણય લઈ લીધો છે કે નોન-ઈમિગ્રેંટ વીઝાની સંખ્યામાં ઘટાડો કરવો. તમે અમેરિકા ફરવા જવા માટે કે બિઝનેસ માટે જે વીઝા મેળવો તેને નોન-ઈમીગ્રેંટ વીઝા કહે છે.
ભારત અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એવી છાપ છે કે તે નોન ઈમિગ્રેંટ વીઝા પર અમેરિકામાં એન્ટ્રી તો મેળવી લે છે પરંતુ કોઈને કોઈ કારણસર તે ત્યાં રોકાઈ જાય છે. આવા નોન ઈમિગ્રેંટ વીઝા ધારકોની સંખ્યા ઘટાડવા પાછળ ટ્રંપનું આ પણ એક કારણ હોઈ શકે છે.
એટલું જ નહી પરંતુ આ નિર્ણય અંતર્ગત જ વીઝાના નિયમોનું સખત પાલન કરાવવા માટે ટ્રમ્પ સરકાર એડમિશન બોન્ડ લાવી શકે છે. જેનું સૌથી વધારે નુકસાન ભારતીયોને જ થઈ શકે છે. છેલ્લા નવેમ્બરમાં એક રિપોર્ટ મુજબ અમેરિકામાં 2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ છે. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા અમેરિકાના કુલ વિદેશી વિદ્યાર્થીઓના 18 ટકા છે.
રિપોર્ટ મુજબ 2017માં સવા લાખ વિદ્યાર્થીઓએ અમેરિકા છોડી દેવાનું હતું પરંતુ તેમાંથી 5 હજાર વિદ્યાર્થીઓ અમેરિકામાં જ રોકાઈ ગયા છે. આ ચોંકવાનારા આંકડાઓને કારણે ટ્રંપ વીઝા નિયમો કડક કરી રહ્યાં છે.