અમદાવાદમાં AMC દ્વારા રાજય સરકારના સહકારી વિભાગના સહયોગથી GMDC મેદાન ખાતે 15 દિવસ માટે ‘કેરી બજાર’નું વિશેષ આયોજન કરાયુx હતુ જેનો ઉદ્દેશ્ય લોકડાઉનના લીધે કેરીનું વેચાણ ન કરી શકનાર કેરી ઉત્પાદકો-ખેડૂતોને તેમનો માલ વેચવા સહાય પુરી પાડવાનો હતો. આવામાં હવે આ દરમ્યાનનો કુલ વેચાણનો આંકડો બહાર આવ્યો છે.
‘કેરી બજાર’માં 15 દિવસ દરમિયાન થયેલા વેચાણની માહિતી આપતા તંત્રએ જણાવ્યું હતું, આ સમયગાળા દરમિયાન 6 લાખ કિલો કરતા વધારે કેરીઓનું વેચાણ થયુ છે. જેનું મૂલ્ય રૂ. 4.5 કરોડ કરતા વધારે છે અને તેનાથી લગભગ 75 હજાર લોકોએ લાભ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે વહીવટીતંત્ર દ્વારા ‘કેરી બજાર’નું આયોજન કરવા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા અને AMC વિવાદમાં સપડાયુ હતું.
મહત્વનું છે કે આ મેંગો મેળાનું ઉદ્ઘાટન મેયર બિજલ પટેલે કર્યુ હતું અને તેઓ પણ વિવાદમાં આવ્યાં હતાં. તેમણે આ ઉદ્ઘાટન દરમ્યાન કોરોનાની કામગીરીને લઈને સવાલો ટાળ્યાં હતાં અને કહ્યું હતું કે હું અહીં માત્ર આ ઈવેન્ટને લઈને જ જવાબ આપીશ.