અમદાવાદમાં તાજેતરમાં રખડતા ઢોરની અડફેટથી યુવકનું મૃત્યુ થયું હતું. ત્યારે હવે હાઈકોર્ટના કડક વલણ બાદ AMC તંત્રએ મૃતક ભાવિન પટેલના પરિવારને 2 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદમાં તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો
ઢોરની અડફેટે ચડેલા યુવાનનું થયુ હતું મોત
હાઈકોર્ટના કડક વલણ બાદ AMC ચૂકવશે 2 લાખનું વળતર
અમદાવાદમાં રસ્તે રખડતાં ઢોરના કારણે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો. આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધ્યો હતો. ગુજરાતમાં લગભગ પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે હાઈકોર્ટના કડક વલણ બાદ AMC તંત્રએ મૃતક યુવકના પરિવારને 2 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે.
બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની
તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું. ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલની ટોરેન્ટપાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ માટે પસંદગી થઈ હતી. ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા, જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરે બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું. જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. જે બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMCના જવાબદાર અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધાયો હતો.
હાઇકોર્ટે પણ આ પરિવારની વેદના સાંભળી
આ રખડતાં ઢોરના લીધે એક માતાએ લાડકવાયો ગુમાવ્યો તો પત્નીએ જીવનસાથીનો સાથ ખોયો, આ મહિલાઓના આસું સુકાઈ નથી રહ્યા કારણકે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની લાલચમાં આ પરિવારનો ઘર સંસાર ઉજાડી દીધો. હાઇકોર્ટે પણ આ પરિવારની વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નરોડામાં રખડતા ઢોરની અડફેટે ભાવિન પટેલના મૃત્યુ માટે જવાબ આપવા માટે તૈયાર રહેવા કહ્યું હતું. જે બાદ AMCએ તેમના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ કોર્ટે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવાની આપી સૂચના
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપતા જ અમદાવાદ શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક મહિનામાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 80 જેટલા રખડતા ઢોરના માલિકો સામે કેસ દાખલ કરીને 59 જેટલા રખડતા પશુને પાંજરે પુર્યા છે. શહેર પોલીસ દ્વારા રખડતા ઢોરના ચોક્કસ લોકેશન પણ નક્કી કરીને તે લોકેશનની માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવી છે.