મોરબીની દુર્ઘટનાને લઈ હવે અમદાવાદના અટલ બ્રિજમાં મુલાકાતીઓની સંખ્યાને લઈ મનપાએ એક મોટો નિર્ણય કર્યો
અમદાવાદના અટલ બ્રિજને લઈને મનપાનો નિર્ણય
એકસાથે 3000થી વધારે લોકો નહીં લઈ શકે મુલાકાત
રવિવારે એક દિવસમાં 35 હજાર લોકોએ લીધી હતી મુલાકાત
મોરબીની દુર્ઘટનાને લઈ હવે અમદાવાદના અટલ બ્રિજમાં મુલાકાતીઓની સંખ્યાને લઈ મનપાએ એક મોટો નિર્ણય કર્યો છે. હવેથી એકસાથે 3000થી વધારે લોકો સાબરમતી નદી ઉપર બનાવાયેલ અટલ બ્રિજની મુલાકાત નહીં લઈ શકે. આજે જ VTV ન્યૂઝે સમાચાર લખ્યા હતા કે, રિવરફ્રન્ટ ખાતે ખુલ્લો મુકવામાં આવેલા અટલ ફૂટ ઓવર બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. ઘણી વખત તો બ્રિજ પર પગ મુકવાની પણ જગ્યા નથી હોતી ત્યારે મોરબી જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? જેના ગણતરીના કલાકોમાં જ તંત્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ તરફ હવે VTV ન્યૂઝના અહેવાલ બાદ અમદાવાદ મ્યુનિશિપલ તંત્ર હરકતમાં આવ્યું છે. AMC દ્વારા તાત્કાલિક અસરથી અટલ ફૂટ ઓવર બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યાને લઈ મોટો નિર્ણય કર્યો છે. જેથી હવે એકસાથે 3000થી વધારે લોકો સાબરમતી નદી ઉપર બનાવાયેલ અટલ બ્રિજની મુલાકાત નહીં લઈ શકે. મહત્વનું છે કે, ગઈકાલે રવિવારે એક દિવસમાં 35 હજાર લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી.
VTV ન્યૂઝે કયા સવાલ ઉઠાવ્યા હતા ?
મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે ત્યારે હાલમાં જ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ખુલ્લો મુકવામાં આવેલા અટલ ફૂટ ઓવર બ્રિજ પર પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. બ્રિજનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યુ હોવાથી દેશભરમાંથી લોકો અટલ બ્રિજની મુલાકાતે પહોંચી રહ્યાં છે. ઘણી વખત તો બ્રિજ પર પગ મુકવાની પણ જગ્યા નથી હોતી ત્યારે મોરબી જેવી દુર્ઘટના અન્ય કોઇ સ્થળે ન સર્જાઇ તે માટે સાવચેતીના પગલા લેવાવા જોઇએ પરંતુ અટલ બ્રિજ ખાતે આવી કોઇ કામગીરી જોવા મળતી નથી. અટલ ફૂટ ઓવર બ્રિજ પર પણ સેફટીના નામે મીડું જણાઈ રહ્યું છે.