ઇકોફ્રેન્ડલીને પ્રોત્સાહન આપવા AMCનો સરાહનીય નિર્ણય, વૃક્ષોનું વધું વાવેતર થાય તે માટે કરવામાં આવ્યુ ખાસ આયોજન
AMCનો સરાહનીય નિર્ણય
ડિસેમ્બર સુધી 75 લાખ વૃક્ષોનું વાવેતર
AMC સંચાલિત વાહનો CNG-ઈલેક્ટ્રિક કરાશે
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણને બચાવવા અને તેનું રક્ષણ કરવા માટે તંત્ર અને સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. ઇકોફ્રેન્ડલી વાહનો અને વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી. શહેરમાં 21 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ ઉપરાંત આજનો દિવસ મહત્વનો બની રહ્યો છે કારણ કે એએમસીએ એક અગત્યનો અને મોટો નિર્ણય લીધો છે.
ડિસેમ્બર સુધી 75 લાખ વૃક્ષોનું વાવેતર
હવેથી અમદાવાદમાં શુક્રવારનો દિવસ એટલે પર્યાવરણને સમર્પિત દિવસ. એએમસી દ્વારા હવેથી દર શુક્રવારે ઇકોફ્રેન્ડલી દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા લોકોને 5 વૃક્ષ આપવામાં આવશે. આવી રીતે તમામ શુક્રવારે વૃક્ષારોપણ થશે અને એમ કરીને ડિસેમ્બર સુધીમાં 75 લાખ વૃક્ષો વાવવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કમિશનર લોચન શહેરાએ જણાવ્યુ હતુ કે પબ્લિક અને કોર્પોરેશનના કર્મીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે. તેમજ દરેક લોકો એક વૃક્ષ વાવે. તેઓનુ કહેવુ છે કે જેટલી વસ્તી શહેરમાં છે તેટલા વૃક્ષ પણ હોવા જોઇએ .
તો આ તરફ વાહનોના પ્રદૂષણને લઇને પણ એએમસીએ એક નવી જ પહેલ શરૂ કરવા જઇ રહ્યુ છે. હાલ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે તો બીજી તરફ પર્યાવરણના સંરક્ષણ માટે ઇલેક્ટ્રીક વાહનો અપનાવી રહ્યા છે ત્યારે એએમસી પણ ઇલેક્ટ્રીક વાહનો અપનાવશે. એએમસી સંચાલિત વાહનો ડિસેમ્બર સુધીમાં સીએનજી અને ઇલેક્ટ્રીક કરવામાં આવશે. આમ એએમસી પણ ઇકોફ્રેન્ડલીને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થશે.
AMCનું મિશન મિલિયન ટ્રી
મહત્વનું છે કે મિશન મિલિયન ટ્રી અંતર્ગત દર વર્ષે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાના હોય છે ત્યારે એએમસીએ ગત વર્ષે 15 લાખ રૂપિયા વાવ્યા હતા. આ વર્ષે 21 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં 35 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેમાંથી 58 ટકા વૃક્ષો જીવિત રહે છે. ત્યારે આ વખતે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનો જીવિત રહેવાનો રેશિયો વધ્યો છે. ત્યારે આજે પણ 21 હજાર વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું હતું,