અમદાવાદમાં ચોમાસા પહેલા જ તંત્રને પ્રિમોન્સૂનની કામગીરી પર ભરોસો ન હોવાનુ આવ્યુ સામે, રોડ પર બેરિકેટિંગ કરીને શહેરીજનોને ચેતવ્યા
અમદાવાદમાં ઠેર ઠેર જાહેરચેતવણીના બોર્ડ
ખોદકામ કર્યુ હોવાથી રોડ બેસી જાય તેવી સંભાવના
પ્રિમોન્સૂન કામગીરીના નામે પહેલા ખોદકામ, પછી ચેતવણી
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યુ છે જો કે એ વાત ખરી છે હજી અમદાવાદમાં જોઇએ એવો વરસાદ પડી નથી રહ્યો . લાગી રહ્યુ છે કે વરસાદ પણ તંત્રને સમય આપી રહ્યું હોય તે મારા આવતા પહેલા પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દો. પરંતુ તંત્રના પેટનું પાણી હાલે તો ને, પરંતુ જ્યારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે ત્યારે અમદાવાદને ખાડાવાદ બનતા વાર નહી લાગે કારણ કે ઠેર ઠેર ખોદકામ કરીને બેઠેલું તંત્ર જાહેર ચેતવણીના બોર્ડ લગાવીને સંતોષ માની રહ્યું છે.
પ્રિમોન્સૂન કામગીરીની નામે ખોદકામ, બાદમાં ચેતવણી
અમદાવાદના આ રસ્તાના દ્રશ્યો જુઓ. આખે આખો રોડ ચારેય બાજુથી કોર્ડન કરીને સાવધાનના બોર્ડ લગાવી દીધા છે. ખોદકામવાળા રોડ પર બેરિકેટિંગ કરીને શહેરીજનોને ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદને લીધો જો પાણી ભરાયા તો રોડ બેસી જાય તેવી સ્થિતિ છે. શહેરમાં અનેક જગ્યાઓ પર એક પ્રિમોન્સૂનના નામે ખોદકામ કરવામાં આવ્યુ હતું અને હવે તે જ જગ્યાઓ પર જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે.
જાહેર ચેતવણી- રસ્તો બેસવાની સંભાવના
એએમસીએ મારૂતિ સેલિડ્રોનથી મહિલા લેકથી મહાકાળી માતાના મંદિરથી એસ.જી હાઇવેના સર્વિસ રોડને બેરિકેટ્સ લગાવીને કોર્ડન કરી દીધો છે. અને મોટું બોર્ડ માર્યુ છે કે આ રોડ ઉપર તાજેતરમાં બહું ઉંડુ ખોદાણ થયેલ હોવાથી વરસાદી ઋતુમાં રસ્તો બેસી જવાની સંભાવના છે જેથી રાહદારીઓએ સાવચેતી ખાસ દાખવવી.
ચેતવણી આપવી પડે તેવી પ્રિમોન્સૂનની કામગીરી
એક તરફ ચોમાસાને લઇને તંત્ર સજ્જ હોવાના બણગાં ફૂંકવામાં આવે છે તો બીજી તરફ તંત્રને જ પોતે કરેલી કામગીરી પર ભરોસો ન હોય તેમ લાગી રહ્યું છે. પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણ ન કરી શકનાર AMC બેરિકેટ કરીને લોકોને ચેતવી રહ્યું છે. જો કે શહેરના 2200 રોડ બેસી જાય તેવી સ્થિતિ છે ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આગામી સમયમાં લોકોની સુરક્ષાને જોતા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે.
પ્રિમોન્સૂન કામગીરીમાં પોલ ક્યાં સુધી ?
ત્યારે અહીં સવાલ એ છે કે જો તંત્રએ પ્રિમોન્સૂનની કામગીરી કરી તો પછી એવી હલકી ગુણવત્તાનું કામ કેમ કર્યુ કે ચેતવણીના બોર્ડ લગાવવા પડ્યા. શું તંત્રને પોતે કરેલા કામ પર જ વિશ્વાસ નથી. શા માટે દર ચોમાસામાં પ્રિ મોન્સૂન કામગીરીને લઇને તંત્ર સામે સવાલો ઉઠે છે. શા માટે તંત્ર આ બાબતે સ્હેજ પણ ગંભીરતા દાખવતું નથી, શું તંત્રને શહેરીજનોની ચિંતા નથી ?