અમદાવાદમાં લીફ્ટ તુટવાની દુર્ઘટનામાં 7 શ્રમિકોના મોત નિપજ્યાં બાદ તંત્ર દોડતું થયું છે.આ મામલે શ્રમ રોજગાર વિભાગે તપસના આદેશ આપ્યા તો AMCએ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરી છે.
અમદાવાદમાં 7 શ્રમિકોના મોતનો મામલો
શ્રમ રોજગાર વિભાગે આપ્યા તપાસના આદેશ
AMC દ્વારા સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી
અમદાવાદમાં ફરી એકવાર કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના સર્જાઇ. કન્સ્ટ્રક્શન સાઇટ પર ખુલ્લેઆમ નિયમોના ઉલ્લંઘનની રાવ વચ્ચે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર સાઇટ પર નિર્માણાધીન બિલ્ડિંગમાં લીફ્ટ તુટી પડતાં 7 શ્રમિકોના મોત નિપજ્યાં હતા. આ ઘટનાને લઇને રાજ્યભરમાં હાહાકર મચી ગયો છે. ત્યારે આ મામલે AMC દ્વારા સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે એટલે કે હવે સાઈટનું કામ પણ સ્થગિત કરવામાં આવશે. મહત્વનું છે કે કુલ 13 માલિકોના નામે AMCની રજા ચિઠ્ઠી છે.જેમાં પલ્લવી કંસારા, રમેશચંદ્ર કાલિયા, રાહુલ કાલિયા, કૈલાશચંત્ર કાલિયા, નિમેશકુમાર ઝવેરી, ભરત ઝવેરી, પારુલ ઝવેરી, વિપુલ શાહ, બાબુપ્રસાદ શાહ, નિતિન સંઘવી, જગદીશપ્રસાદ કાલિયા, નિર્મલા કાલિયા, ગોપાલસિંહ રાજપુરોહિતનાઑનો સમાવેશ થાય છે.
શ્રમ અને રોજગાર વિભાગે આપ્યા તપાસના આદેશ
બીજી તરફ શ્રમ અને રોજગાર વિભાગે પણ તપાસના આદેશ જારી કર્યા છે. શ્રમ રોજગાર વિભાગ દ્વારા સબંધિત અધિકારીને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જ્યાં ઘટના અંગે તપાસ બાદ બનાવાયેલ રિપોર્ટ શ્રમ રોજગાર મંત્રી અને CM ભૂપેન્દ્ર પટેલને સોંપવા પણ જણાવાયું છે.
શું હતી સમગ્ર ઘટના ?
અમદાવાદમાં આજે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13મા માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિક નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાત મજૂરોને કાળ આંબી ગયો હતો તો એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિક કરી રહ્યા હતા. આ દરમિયાન ભારે વજનને કારણે આ દુર્ઘટના ઘટી હતી. સ્લેબ તૂટતાં જ આઠેય શ્રમિક એકસાથે નીચે પડ્યા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8મા માળે નેટ પણ બાંધી હતી. શ્રમિકો 8મા માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા, પરંતુ ભારે વજનને કારણે નેટ પણ તૂટી પડી હતી. નેટ તૂટતાં 8મા માળેથી શ્રમિકો ધડાકા સાથે નીચે પડ્યા હતા. એમાં 2 શ્રમિક ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા, જ્યારે 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા.
આ સિવાય આ દુર્ઘટનામાં બિલ્ડરની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. કારણ કે આ દુર્ઘટનામાં પોલીસ કે ફાયર વિભાગ કોઇને પણ જાણ ન હોતી કરાઈ. પ્રકરણને ઢાંકવા સબંધિત વિભાગને જાણ કર્યા વિના જ શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.