મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અનલોક-૧ હેઠળ ગત તા.૧ જૂનથી લોકડાઉનમાં છૂટછાટ અપાતાં સમગ્ર અમદાવાદનું સામાન્ય જનજીવન લગભગ બે મહિનાથી વધુના સમયગાળા બાદ ધમધમતું થયું હતું. એક અઠવાડિયાથી પૂર્વ અમદાવાદનો વિસ્તાર પણ પૂર્વવત્ થયો છે. એએમટીએસ અને બીઆરટીએસ બસ સર્વિસનો પણ પેસેન્જરને લાભ મળી રહ્યો છે, જોકે શહેરી બસ સેવાને રિવરબ્રિજ ઓળંગવાની અનુમતિ અપાઇ નથી, તે સમયે શાકભાજી-ફળફળાદિના ફેરિયાઓને જ વેેચાણની છૂટ અપાઇ હતી. અન્ય વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયા પરનો પ્રતિબંધ મ્યુનિસિપલ તંત્રની અગાઉની જાહેરાત મુજબ હટાવાયો નથી. આજની સ્થિતિએ આવા તમામ ફેરિયા પરનો પ્રતિબંધ યથાવત રહ્યો હોઇ આ બાબત મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે વિવાદાસ્પદ બની છે.
શહેરના એક લાખથી વધુ ફેરિયાઓના ધંધા-રોજગાર પર પડેલી માઠી અસર
અગાઉ તા.૮ જૂનથી ફૂટપાથ પર ધંધો કરતા તમામ ફેરિયાને છૂટ આપવાની જાહેરાત કરાઈ હતી
અનલોક-૧ના બીજા તબક્કામાં મ્યુનિ. તંત્રનાં નિયત સ્થળો પર ફેરિયાની વ્યવસ્થા કરાશે તેવો દાવો કરાયો હતો
શાકભાજી અને ફળફળાદિના ફેરિયાને ‘હેલ્થ કાર્ડ’ના આધારે વેપાર કરવાની પરવાનગી અપાઇ હતી
મ્યુનિસિપલ તંત્રના સત્તાવાળાઓ દ્વારા ગત તા.૩૧ મેએ અનલોક-૧ હેઠળની લોકડાઉનની છૂટછાટની જાહેરાત કરાઇ હતી. તે સમયે તંત્રે તબક્કાવાર છૂટછાટ જાહેર કરી હતી એટલે કે ગત તા.૧ જૂનથી મળેલી છૂટછાટમાં ફેરિયાના મામલે શાકભાજી અને ફળફળાદિના ફેરિયાને ‘હેલ્થ કાર્ડ’ના આધારે વેપાર કરવાની પરવાનગી અપાઇ હતી, જ્યારે અન્ય વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયા માટે તા.૮ જૂનથી તંત્ર દ્વારા નિયત કરેલી જગ્યા પર વેપારની છૂટછાટ અપાશે તેવી નીતિ નક્કી કરાઇ હતી.
શહેરમાં અંદાજે એક લાખથી વધુ ફેરિયા છે
શહેરમાં અંદાજે એક લાખથી વધુ ફેરિયા છે, જેમાં પાણીપૂરીવાળા, શેરડીના સંચાવાળા, સેન્ડિવચ, દાબેલી, ભેળ જેવા વિભિન્ન ખાદ્યપદાર્થનું વેચાણ કરતા ખુમચાવાળા, ફૂટપાથ પર પાથરણાં પાથરીને કટલરી, ગાર્મેન્ટ, ચંંપલ વગેરે વસ્તુઓનું વેચાણ કરતા પાથરણાવાળાં તેમજ રોડ-ફૂટપાથ પરના લારીવાળા વગેરેનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંતર્ગત પણ તંત્ર દ્વારા ફેરિયાઓનેે તેમની વસ્તુઓના વેચાણ માટે નિયત જગ્યા ફાળવાઇ છે. આવા તમામ ફેરિયાને તંત્રની પૂર્વ નિર્ધારિત જાહેરાત મુજબ સોમવારથી એટલે કે તા.૮ જૂનના બીજા તબક્કાની છૂટછાટમાં વેચાણની પરવાનગી મળનાર હતી, જોકે તંત્રની પૂર્વ નિર્ધારિત જાહેરાત મુજબ સોમવારથી શાકભાજી અને ફળફળાદિના ફેરિયા સિવાયના ફેરિયાના વેપાર અંગે છૂટછાટનો કોઇ નિર્ણય લેવાયો નથી. ભદ્ર અને ત્રણ દરવાજા ખાતેનું જાણીતું પાથરણાંબજાર પણ બંધ છે. આ મામલે તંત્ર હજુ અવઢવમાં હોઇ રોજ કમાઇને રોજ ખાનારા લોકોની રોજી-રોટી પર માઠી અસર પડી છે.
શહેરમાં ચાની કીટલીઓ ધમધમતી થઇ ગઇ છે
આમ તો મ્યુનિસિપલ તંત્ર દ્વારા એક અઠવાડિયા પહેલાં જ અનલોક-૧ના પહેલા તબક્કામાં ચાની કીટલીઓને છૂટ અપાતાં શહેરમાં ચાની કીટલીઓ ધમધમતી થઇ ગઇ છે. પાન-મસાલાના ગલ્લા પણ ખૂલી ગયા છે. પાન-મસાલાના ગલ્લા પરથી ફક્ત પાર્સલ લઇ જવાની છૂટ હોવા છતાં અનેક ગલ્લા પર રાબેતા મુજબ પાન-મસાલાના રસિયાનાં ટોળાં જોવા મળી રહ્યાં છે એટલે કે તંત્રની છૂટછાટનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું હોવા છતાં જે તે ઝોનનો એસ્ટેટ વિભાગ આંખ આડા કાન કરી રહ્યો છે. અત્યારના કોરોનાના સંક્રમણના હર્ડ ઇમ્યુનિટીના તબક્કામાં તંત્રની આ પ્રકારની લાપરવાહી ગંભીર બાબત છે.
કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં મંદિર, મોલ, હોટલ, રેસ્ટોરાં ખૂલી ગયાં છે
જોકે સોમવારથી એટલે કે તા.૮ જૂનથી તંત્રના નિયત કરેલાં સ્થળ પર ફેરિયાઓ માટે વેચાણની વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત પોકળ નીવડી હોવા છતાં ઘણી જગ્યાએ અન્ય વસ્તુનું વેચાણ કરતા ફેરિયા નજરે પડી રહ્યા છે. શેરડીના સંચાવાળા પણ ખૂલી રહ્યા છે. આમ, તંત્રના નિયમો પળાઇ રહ્યા નથી. આવા ફેરિયા પાસે હેલ્થ કાર્ડ ન હોઇ લોકો પર કોરોનાનું જોખમ વધ્યું છે.
દરમિયાન સોમવારથી કન્ટેન્મેન્ટ અને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં મંદિર, મોલ, હોટલ, રેસ્ટોરાં ખૂલી ગયાં છે. અનલોક-૧ના બીજા તબક્કા હેઠળ આ સ્થળો ધમધમતાં થયાં છે.