અમદાવાદમાં કોરોના વકરતા AMC દ્વારા તડામાર તૈયારીઓ શરૂ, દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે તંત્રની તૈયારીઓ
અમદાવાદમાં કોરોના વકરતા તંત્ર સજ્જ
ધનવંતરિ હોસ્પિટલ સ્ટેન્ડબાય રાખવા સૂચન
કોરોના ટેસ્ટ કરાવવા ટેસ્ટિંગ ડોમ પર લાગી લાઇન
અમદાવાદમાં ફરીએકવાર કોરોનાના કેસે રફતાર પકડી છે, 200-500થી કેસ ધીરે ધીરે વધીને 2 હજારને પાર પહોંચ્યા છે. અમદાવાદમાં આવી સ્થિતિને પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત જણાઇ રહી છે. ત્યારે વધતા કેસને પહોંચી વળવા તંત્ર પણ સજ્જ જોવા મળ્યુ છે. કોરોનાના કેસ વધતા અમદાવાદમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સિવિલમાં 3 હજાર બેડની વ્યવસ્થા
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. વધતા કેસની સામે તંત્ર પણ સજ્જ બન્યુ છે તેવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રજનીશ પટેલ સાથે વીટીવીએ ખાસ વાતચીત કરી, તેઓએ જણાવ્યુ કે કોરોનાના કેસ વધી રહ્યા છે તો સામે દર્દીઓને તમામ સુવિધા મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ સજ્જ છે. સિવિલમાં 3 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટેની ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. બીજી લહેરમાં એક ઓક્સિજન ટેન્ક પર સારવાર આપી હતી પરંતુ હવે 5 ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ હોવાનું જણાવ્યુ હતું.
બેદરકારી ન રાખો- ડૉ. રજનીશ પટેલ
ડૉ.રજનીશ પટેલે વીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. સ્હેજ પણ લાપરવાહી દાખવવી ભારે પડી શકે છએ. કોરોનાની ગાઇડલાઇનનુ પાલન અવશ્ય કરવુ જોઇએ. કોરોનાની સાથે સાથે ઓમીક્રોન વેરિએન્ટના પણ કેસ નોંધાઇ રહ્યા છે. આમીક્રોન સૌથી વધુ સ્પીડથી ફેલાઇ રહ્યો છે ત્યારે લોકોએ હવે સાવચેત થઇ જવાની જરૂર છે. મહત્વનુ છે કે હાલમાં સિવિલમાં 22 કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
ધનવંતરિ હોસ્પિટલ સ્ટેન્ડબાય રાખવા સૂચન
શહેરમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને રાખીને AMCએ GMDC ધન્વંતરી હોસ્પિટલને સ્ટેન્ડબાય રાખવા સૂચન કર્યુ છે. ઇમરજન્સીની સ્થિતિમાં ધન્વંતરી હોસ્પિટલ કાર્યરત કરાશે. કોરોના સંક્રમણ વધતા ગુજરાત યુનિવર્સિટીને સૂચના આપવામાં આવી છે. DRDO અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત હોસ્પિટલને સુચન કરવામાં આવ્યુ છે કે જો હોસ્પિટલો ફુલ થાય તો ધન્વંતરી હોસ્પિટલને ઉપયોગમાં લેવાશે. તેમજ સ્ટાફની ભરતી માટેની સૂચના પણ અગાઉથી આપવામાં આવશે. મહત્વનુ છે કે GMDCમાં 800 બેડની ધન્વંતરી હોસ્પિટલ કાર્યરત છે.
ટેસ્ટિંગ ડોમ પર લાઇનો
અમદાવાદમાં હવે પહેલાની જેમ ફરીએકવાર કોરોનાના ટેસ્ટ માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. ઠેર ઠેર ટેસ્ટિંગ ડોમ પર કોરોનાની લાઇનો જણાવી રહી છે શહેરમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યુ છે. કોવિડના લક્ષણ ધરાવતા લોકો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. જેમ જેમ કેસ નોંધાતા જાય છે તેમ લોકો પણ જાગૃત ટેસ્ટ કરાવવા માટે જાગૃત બની રહ્યા છે.
કોરોનાને લઇને સોલા-સિવિલ સજ્જ
ગુજરાત સાથે જ અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદ સોલા સિવિલ સજ્જતા ધારણ કરી છે. સોલા સીવીલમાં ઓક્સિજન ક્ષમતામાં કરાયો વધારો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં બીજી લહેર વેળા 5 ટન ઓક્સિજન ક્ષમતા હતી તેના બદલે હવે આ ક્ષમતામાં વધારો કરાતા ત્રીજી લહેર પહેલા નવા ત્રણ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. સોલા સિવિલમાં 1 હજાર, 500 અને 230 LPMના ત્રણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. તો 5 ટનની ક્ષમતા વધારી 12.7 મેટ્રીક ટન કરવામાં આવી છે. દાખલ થનારા સંભવિત દર્દીઓ માટે 100 વેન્ટિલેટર અને 350 ઓક્સિજન બેડવાળા દર્દીની જરૂરિયાત પૂર્ણ કરી શકશે. અગાઉ સોલા સિવિલમાં અગાઉ 50 વેન્ટિલેટર બેડ હતા જે વધારીને 100 વેન્ટિલેટર બેડ કરવામાં આવ્યા છે.
શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધી
અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. અમદાવાદમાં સૌથી વધુ 2311 કેસ સામે આવતા બીજી લહેરના દ્રશ્યો આંખ સામે તરતા થઈ ગયા છે. શુક્રવારે નવા 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાવામાં આવ્યા હતા. સૌથી વધુ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પશ્ચિમ ઝોનમાં વધ્યા છે, પાલડી, જોધપુર, સેટેલાઇટના વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. સરખેજ, બોપલ, ગોતાના કેટલાક વિસ્તારો તો ચાંદખેડા, નવરંગપુરાની પણ કેટલીક સોસાયટીઓ કોરોના વકરતા પ્રતિબંધિત વિસ્તારમાં આવી ગઈ છે. આજે નવા 21 વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 141 થઈ ગઈ છે.