અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના અધિકારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના હર્ષદરાય સોલંકી હંમેશા તેમના ઉદ્ધત વર્તનના કારણે વિવાદમાં રહ્યાં છે. ત્યારે તેમની સામે 2 મહિના પહેલા કરવામાં આવેલ ઠપકા દરખાસ્ત પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે.
હર્ષદરાય સોલંકી સામે ઠપકા દરખાસ્ત
ઠપકા દરખાસ્ત પરત ખેંચવા દબાણ
AMCના સોલિડ વેસ્ટ ડાયરેક્ટર છે હર્ષદરાય
હર્ષયરાય સોલંકી સામે બે મહિના પહેલા સામાન્ય સભામાં ઠપકા દરખાસ્ત મુકાઈ હતી. જે ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું કે કોઇ અધિકારી સામે ઠપકા દરખાસ્ત મુકવામાં આવી હોય. જમાલપુરના MIMના કાઉન્સિલર રફીક શેખ સાથે ઉદ્ધત વર્તનના કારણે હર્ષદરાય સોલંકી સામે ઠપકા દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને લઈ મેયર કિરીટ પરમારે સામાન્ય સભામાં કમિશનરને તપાસ સોંપી બે મહિનામાં રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો પરંતુ આજે બે મહિના તો પૂર્ણ થવા છતાં પણ કમિશનરે તપાસ કરી નથી. હવે આ દરખાસ્ત પર ખેંચવા માટે કોર્પોરેટર રફિક શેખ પર લઘુમતિ ધારાસભ્યનું દબાણ કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરથી અધિકારી પર 4 હાથ હોવાનું આવ્યું સામે
ઉલ્લેખનીય છે કે, હર્ષદરાય સોલંકી અને ધારાસભ્યના મેળાપિપણાથી ઠપકા દરખાસ્ત પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે સૂત્રો અનુસાર હર્ષદરાય નામક આ અધિકારીનાં ગાંધીનગરમાં 'ગોડફાધર' છે અને ગાંધીનગરનાં જ આશીર્વાદથી સતત વિવાદો છતાં તેમની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આટલું જ નહીં મેયર દ્વારા કરવામાં આવેલ આદેશને પણ કોર્પોરેશનનાં અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે.
બે મહિના બાદ હજુ સુધી જવાબ પણ ન લેવાયો
મેયરના આદેશની પણ અવગણના થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે અધિકારી સામે ઠપકા દરખાસ્ત હોય તેની તપાસ દરમિયાન તેમની બદલી કરવી પડતી હોય છે પરંતુ હર્ષદરાયની બદલી તો ઠીક પરંતુ તેમનો જવાબ પણ નથી લેવામાં આવ્યો. વિવાદમાં રહેતા અધિકારી હર્ષદરાય સોલંકી સામે પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ પણ આક્ષેપ કર્યા હતા કે આ એક અધિકારી નહીં પરંતુ મનપાના તમામ અધિકારી પ્રજાના પ્રતિનિધિને ગાંઠતા નથી. પીરાણા ડમ્પીંગ સાઇટમાં પણ ભ્રષ્ટાચાર થતો આવ્યો છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. અત્યાર સુધી 17 એકર જમીન ખાલી કરી ત્યાં ગ્રીનરી ઉભી કરવામાં આવી રહી છે. અહીં સવાલ એ થાય છે કે હર્ષદરાય સોલંકી પર કોના આશીર્વાદ છે જેના કારણે કોઈ તપાસ કે કાર્યવાહી થઈ રહી નથી.
કચરામાં રાત-દિવસ મહેનત કરીએ છીએ : સોલંકી
બીજી તરફ ઠપકા દરખાસ્ત મામલે પોતાના લાગેલા આક્ષેપો પર જવાબ આપવાના બદલે હર્ષદરાય આરોપોની સત્યતા તપાસવા માટે સલાહો આપી રહ્યા છે. હર્ષદરાયે કહ્યું કે અમદાવાદ ચોખ્ખું રહે તે માટે કચરામાં દિવસ રાત મહેનત કરીએ છે. ગંદકી સાફ કરતાં વ્યક્તિ સામે શું ઉદ્ધતાઈભર્યું વર્તન? પહેલા હકીકત અને સત્યતા ચકાસવી જોઇએ પછી આક્ષેપ કરો. સોલંકીએ પોતાના બચાવમાં કહ્યું છે કે જે કોર્પોરેટરે ફરિયાદ કરી તે કચરાનો કોન્ટ્રાક્ટ માંગી રહ્યા હતા અને કોન્ટ્રાક્ટ ન મળ્યો તો ઠપકા દરખાસ્ત મૂકી દીધી. પિરાના ડમ્પિંગ સાઇટમાં કથિત કૌભાંડ મામલે સોલંકીએ કહ્યું પિરાણામાં કોઈ કૌભાંડ થયું નથી, મારા પર લગાવવામાં આવેલ તમામ આક્ષેપો ખોટા છે.