કોરોના વાયરસની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં AMC દ્વારા એપ્રિલ મહિનામાં અમદાવાદના મોલને શરૂ કરવાની મંજૂરી અપાઇ હતી. જોકે રક્ષાબંધનના તહેવારને લઇને અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અને આલ્ફા વન મોલ તરીકે જાણીતા અમદાવાદ વન મોલમાં કોવિડ 19ના પ્રોટોકોલનું ઉલ્લંઘન થતા AMC દ્વારા મોલને સીલ કરી દેવામાં આવ્યો છે.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. ત્યારે કોરોનાનું સંક્રમણ સૌથી વધુ અમદાવાદમાં થઇ રહ્યું છે. તેવામાં અનલૉક દરમિયાન અમદાવાદની બજાર સહિતના મોટા મોલ જાહેર જનતા માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ હતી. ત્યારે હવે અનલૉક-3માં વધુ છુટછાટ મળતા લોકો વધુ બેદરકાર બનતા જણાઇ રહ્યા છે. રક્ષાબંધન પર્વને લઇને અમદાવાદ વન મોલમાં 500થી વધુ લોકો એકઠા થયા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. મોલમાં અનેક લોકો માસ્ક વગર ફરતા નજરે પડ્યા હતા. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
માસ્કના નિયમોનું પાલન નહીં કરવા પર અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા જાણીતા અમદાવાદ વન મોલને પહેલા ખાલી કરાવાયો હતો બાદમાં તેને સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે તમામ બ્રાન્ડના શૉ-રૂમ ધરાવતા અમદાવાદના મોટા મોલ પર AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.