કોરોના મહામારીમાં કેટલીક ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે, સુવિધાના નામે પૈસા પડાવે છે એડવાન્સમાં પૈસા લઈ વિવિધ શરતો મુકે છે
ચાંદખેડામાં સત્યમેવ હોસ્પિટલ ઉઘાડી લૂંટ
રૂપિયા આપવા છતા નથી મળતી સુવિધા
પરિજનો સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી
હાલ કોરોના કાળમાં દેશ-વિદેશમાંથી કોરોના દર્દીઓ માટે સહાય મળી રહી છે કોરોના મહામારીમાં કેટલીક સામાજીક સંસ્થાઓ અને તબીબો સેવા કાર્ય માટે આગળ આવી રહ્યા છે ત્યારે કેટલીક ખાનગી હોસ્પિટલો પોતાની મનમાની ચલાવીને દર્દીઓની પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. ચાંદખેડાની સત્યમેવ હોસ્પિટલમાં માનવ મુલ્યો નેવે મુકીને દર્દીઓના પરિજનો પાસેથી પૈસા લઈ લે છે પરતું સુવિધા આપી શકતી નથી જ્યારે સંચાલકોને ફરિયાદ કરવામાં આવે છે ત્યારે ધંમકી મળે છે અને તેમની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવે છે, સત્યમેવ હોસ્પિટલ ડોક્ટર વિઝીટના નામે પણ દર્દીઓ પાસેથી પૈસા પડાવે છે, એટલું જ નહી દર્દીઓ પાસેથી એડવાન્સમાં પૈસા લઈ વિવિધ શરતો મુકવામાં આવે છે.
ચાંદખેડામાં આવેલી હોસ્પિટલની ઉઘાડી લૂંટ
કોરોના સારવાર લઈ રહેલા દર્દીના પરિજન દ્વારા એક ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે જેમાં સત્યમેવ હોસ્પિટલનો સંચાલક જય શાહ દર્દીને કાઢી મૂકવાની ધમકી આપતો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે દર્દીના પરિજન દ્વારા હોસ્પિટલમાં સુવિધા ન મળતા ઉપરી સંચાલકોને જાણ કરી તો તેની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું એટલું જ નહી પરિજન સાથે ગેરવર્તણૂંક કરી ઓક્સિન સપોર્ટ પર રહેલા દર્દીને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યું હતું સમગ્ર મામલે દર્દીના સગા દ્વારા મનપા અને પોલીસ સ્ટેશન ફરિયાદ કરી હોવા છતા હજું સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, આ ઘટનાને 10 દિવસ થયા હોવા છતા અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.
ડોક્ટર વિઝીટ ચાર્જના નામે ઉઘરાવે છે રુપિયા
સમગ્ર મામલાની જાણ થતા જ VTV ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું કે હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવારને નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, દર્દીઓ પાસેથી એક દિવસની સારવારનો ચાર્જ રૂરિયા 14થી 25 હજાર જેટલો વસૂલવામાં આવી રહ્યો છે. વિજીટિંગ ફેકલ્ટીનો ચાર્જ પણ દર્દીના માથે થોપવામાં આવે છે જે AMC એ નક્કી કરેલા ચાર્જ કરતા પણ અનેક ઘણો વધારો હોય છે,સ્ટિંગ ઓપરેશનમાં એવું પણ સામે આવ્યું છે કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા હોસ્પિટલ દ્વારા કેટલીક શરત મુકવામાં આવે છે, તેમજ બાયપેપ જેવા સાધનોની સુવિધા આપવાનો પણ હોસ્પિટલ ઈન્કાર કરે છે. એટલું જ નહી મેડિકલ સાધનો લાવવાની જવાબદારીમાંથી પણ હોસ્પિટલ હાથ અધ્ધર કરી દેતી જણાઈ છે, ત્યારે કોરોનાના આવા કપરાં સમયમાં આવી કેટલીય ખાનગી હોસ્પિટલો હશે જે સારવારના નામે પૈસા કમાવવામાં લાગેલી હશે.ત્યારે સવાલ થાય છે આવી હોસ્પિટલો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે.
સળગતા સવાલો VTVની ટીમ પૂછી રહી છે
ખાનગી હોસ્પિટલોની મનમાની કે ઉઘાડી લૂંટ ?
દર્દીઓ પાસેથી કેમ વસૂલાય છે બેફામ ચાર્જ ?
તંત્ર દ્વારા કેમ નથી કરવામાં આવતી કાર્યવાહી ?
કોરોનામાં દર્દીઓને કેમ બનવું પડે છે લાચાર ?
સત્મમેવ હોસ્પિટલ પર કોની છે રહેમ નજર ?
લૂંટ ચલાવતી હોસ્પિટલો સામે તવાઈ ક્યારે ?
પરિજનો સાથે હોસ્પિટલની દાદાગીરી કેટલી યોગ્ય ?
ઓક્સિન સપોર્ટ પર રહેલા દર્દીને કેમ ડિસ્ચાર્જ કર્યા ?