1 ઓકટોબરથી વાહનવેરામાં કરાયેલો વધારો લાગુ પડશે હવે અમદાવાદમાં 15 લાખ ઉપરની ગાડીની ખરીદી મોંઘી પડશે.
અમદાવાદમાં સુપર રિચ કલાસ વાહનવેરામાં વધારો
શહેરને પ્રદુષણ મુક્ત કરવા AMCનો નિર્ણય
વાહન વેરો વધારતા AMCને વાર્ષિક 10 કરોડની આવક થશે
AMCની રેવેન્યુ કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુપર રિચ કલાસ વાહનવેરામાં મોટો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એમ કહી શકાય કે 15 લાખથી વધુની ગાડી 1 ઑક્ટોબર બાદ અમદાવાદમાં ખરીદનારને મોંઘી પડશે. સાથે ઈલેકટ્રીક વાહનો લેવાતા ટેક્સમાં આજીવન ટેક્સ માફી આપવામાં આવી છે. શહેરને પ્રદુષણ મુક્ત કરવા AMC દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ 15 લાખથી વધુ કિમતની કારો પર 3 ટકાના દરે વાહન વેરો વસૂલાતો હતો જેમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
અલગ અલગ રીતે ટેક્સ વસૂલવામાં આવશે
અમદાવાદમાં સુપર રિચ કલાસ વાહનવેરામાં AMC દ્વારા વધારો કરવામાં આવતા હવે 15 થી 24 લાખના વાહનોના વેરાનો દર 3.5 ટકા કરી નાખવા આવ્યો છે તે બાદ 25 થી 49 લાખના વાહનોનો દર વધારી 4 ટકા કરાયો છે તો 50 લાખથી વધુના વાહનો પર 5 ટકા વેરાની વસૂલાત કરવામાં આવશે. રેવન્યુ કમિટીમાં લેવાયેલા આ નિર્ણયથી AMCને વાર્ષિક 10 કરોડની આવક થશે સાથે જ 15 લાખથી વધુની કાર જો કોઈ અમદાવાદથી ખરીદશે તો તેના ખિસ્સા પર વાહન વેરામાં વધારાની અસર પડશે જે કારની કિમત પર આધારિત હશે. અમદાવાદ શહેરમાં દર વર્ષે અંદાજીત રૂ.15થી 25 લાખની 1300થી 1600 ગાડીઓ, રૂ.25થી 50 લાખની ગાડીઓ 900થી 1100 અને રૂ.50 લાખથી વધુ 250થી 450 જેટલી ખરીદી થાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે કારની ખરીદી પર આ વાહનવેરામાં વધારાની કેટલી અસર થાય છે.
કારની કિંમત પર કેટલો ટેક્સ લાગશે
15 થી 24 લાખના વાહનોના વેરાનો દર 3.5 ટકા
25 થી 49 લાખના વાહનોનો દર વધારી 4 ટકા
50 લાખથી વધુના વાહનો પર 5 ટકા વેરો
ઈલેકટ્રીક વ્હીકલ ટેક્સ દાયરાથી બહાર
ગુજરાત સરકાર હાલ ખાસ કરીને શહેરોમાં ઈલેકટ્રીક વ્હીકલનો વધુ ઉપયોગ થાય તે માટે વ્યવસ્થા કરી રહી છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને ગયા છે તો સામે હવે લોકો પણઈલેકટ્રીક વ્હીકલ ખરીદવામાં રૂચિ દર્શાવી રહ્યા છે પણ પૂરતા ચાર્જ સ્ટેશન ન હોવાથી થોડા ખચકાઈ પણ રહ્યા છે. ઈલેકટ્રીક વાહનો લેવાતા ટેક્સમાં આજીવન ટેક્સ માફી આપવામાં આવી છે. શહેરને પ્રદુષણ મુક્ત કરવા AMC દ્વારા ઈલેકટ્રીક વ્હીકલ ટેક્સ દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે. ગુજરાત સરકારની જાહેરાત બાદ EVની કિંમતોમાં 40% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે અને વાહનવેરામાં થતાં વધારાથી લોકો હવે આપમેળે ઈલેક્ટ્રિક વાહનો પર ઝૂકશે તેવું દેખાઈ રહ્યું છે.