અમદાવાદના CG રોડ પરની 450થી વધુ મિલકતોને તંત્રનાં તાળાં લાગ્યાં છે. AMC પશ્ચિમ ઝોનમાં 50 હજારથી વધુ બાકી ટેક્સ ધરાવનારા 15 હજારથી વધુ કરદાતાઓનો તંત્ર સંપર્ક કરશે.
ચાલુ વર્ષે સીલિંગ ઝુંબેશથી મ્યુનિ.ને બખ્ખાં
AMCની તિજોરીમાં 50 કરોડથી વધુ ઠલવાયા
કોરોના જવાથી તેમજ રિબેટ યોજનાના કારણે આવક વધી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં આવકના એકમાત્ર સ્રોત સમાન પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ કરવા ટેક્સ વિભાગના સત્તાવાળાઓએ બાકી ટેક્સધારકો સામે સીલિંગ ઝુંબેશ આરંભી છે. રૂ. 50 હજારથી વધુનો બાકી ટેક્સ તંત્રને ચોપડે બોલતો હોય તેવા ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને તંત્રનાં તાળાં લાગી રહ્યાં છે. કોરોનાકાળ બાદ લગભગ બે વર્ષે ધંધા-રોજગારની ગાડી હવે પાટા પર ચડી હોઈ અનેક વેપારીઓ તંત્રમાં નિયમ મુજબની રકમ ભરીને તેમની દુકાન, ઓફિસ કે ગોડાઉનનાં સીલ ખોલાવી રહ્યાં છે. દરમિયાન, મ્યુનિ. ટેક્સ વિભાગને શહેરમાં ચાલતી સીલિંગ ઝુંબેશથી રૂ. 50 કરોડથી વધુની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.
AMC દ્વારા ચાલુ વર્ષે 46 દિવસમાં 16,966 કોમર્શિયલ મિલકતોને સીલ કરી
મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ગત તા. 1 ફેબ્રુઆરી-2022થી ગત તા. 17 માર્ચ-2022 સુધીમાં શહેરની કુલ 16,966 કોમર્શિયલ મિલકતોને સીલ કરાઈ છે, જેમાં અમદાવાદના સમૃદ્ધ ગણાતાં પશ્ચિમ ઝોનમાં સ્વાભાવિકપણે સૌથી વધુ 3350 મિલકતોને તાળાં મરાયાં છે. પશ્ચિમ ઝોનમાં સીજી રોડ જેવા મહત્ત્વના રાજમાર્ગ પરની 450થી વધુ મિલકતોને સીલ મરાતા ડિફોલ્ટર્સમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. તંત્ર પશ્ચિમ ઝોનના આંબાવાડીમાં સંઘમિત્રા ફ્લેટ આનંદવિહાર ખાતેની મિલકત પર ત્રાટક્યું હતું. આ ઝોનમાં કુલ આઠ મિલકત સીલ કરાઈ હતી.
પશ્ચિમ ઝોનમાંથી સીલિંગ ઝુંબેશ હેઠળ સૌથી વધુ રૂ. 5.13 કરોડ મ્યુનિ. તિજોરીમાં ઠલવાયા છે.
જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયાના રત્નસાગર કોમ્પ્લેક્સ, થલતેજની રામદેવનગર સોસાયટી અને મુક્તિનગર ખાતે તંત્ર ત્રાટક્યું હતું. આ ઝોનમાં 40 મિલકત સીલ કરાઈ હતી, તો દક્ષિણ-પશ્ચિમ ઝોનના ટાઇટેનિયમ સિટી સેન્ટર, રાજિપા એવન્યૂ, અલ-ઓઈન શોપિંગ સેન્ટર, સાંનિધ્ય ગ્રીન્સ, પાલમ મિડવોશ વગેરે સ્થળોએ ત્રાટકીને કુલ 29 મિલકતને સીલ કરી હતી. તા.17 માર્ચે હોળી હોઈ તંત્રની સીલિંગ ઝુંબેશમાં ધીમી રફતાર હતી.તે દિવસે શહેરની કુલ 537 મિલકતને સીલ કરીને સત્તાવાળાઓએ સીલિંગ ઝુંબેશથી રૂ. 80.60 લાખ મેળવ્યા હતા.પશ્ચિમ ઝોનમાંથી સીલિંગ ઝુંબેશ હેઠળ સૌથી વધુ રૂ. 5.13 કરોડ મ્યુનિ. તિજોરીમાં ઠલવાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાંથી રૂ. 4.71 કરોડ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી રૂ. 3.60 કરોડ મળ્યા છે. પશ્ચિમ ઝોનની વાત કરીએ તો આ ઝોનમાં 50 હજાર રૂપિયાથી વધુ બાકી ટેક્સ ધરાવતી આશરે 15 હજાર મિલકતોનો તંત્ર દ્વારા સંપર્ક કરાશે.આ દરમિયાન,
તંત્રને ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં પ્રોપર્ટી ટેક્સની આવક પેટે રૂ. 1042.58 કરોડની આવક થઈ
જેમાં પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ. 254.27 કરોડની આવક થઈ છે, જ્યારે ઉત્તર ઝોનમાંથી સૌથી ઓછી રૂ.92.09 કરોડની આવક મેળવાઈ છે. અન્ય ઝોનમાં થયેલી આવકની વિગત તપાસતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી રૂ.177.37 કરોડ, મધ્ય ઝોનમાંથી રૂ.144.76 કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ.109.79 કરોડ, પૂર્વ ઝોનમાંથી રૂ.128.86 કરોડ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રૂ. 135.44 કરોડની આવક થઈ છે. ગત નાણાકીય વર્ષ 2020-21ની તા. 1 એપ્રિલ-2020થી તા.17 માર્ચ-2021માં મ્યુનિ. તિજોરીને થયેલી રૂ.933.19 કરોડની આવક કરતાં આટલા જ સમયગાળામાં તંત્રને પ્રોપર્ટી ટેક્સની આવકમાં રૂ. 109.39 કરોડની વૃદ્ધિ થઈ છે, જે આવકમાં 11.72 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
કોરોના જવાથી તેમજ રિબેટ યોજનાના કારણે આવક વધી
કોરોનાનો પ્રકોપ ઘટતાં મ્યુનિ. તંત્રને પણ પ્રોપર્ટી ટેક્સની આવકમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2021-22ની પ્રોપર્ટી ટેક્સની આવકમાં રૂ.1130 કરોડનો લક્ષ્યાંક રખાયો હોઈ મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ તેને સહેલાઈથી મેળવી લેશે. ભાજપના શાસકો દ્વારા બાકી ટેક્સધારકો માટે ઇતિહાસમાં પહેલી વખત ત્રણ મહિના લાંબી રિબેટ યોજના જાહેર કરાઈ છે, જેમાં કરદાતાઓને ચાલુ વર્ષ સિવાયના વર્ષના વ્યાજમાં તબક્કાવાર રાહત અપાઈ રહી હોઈ તેની પણ મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સની આવકમાં સારી અસર પડી છે. અત્યારે ૩૧ માર્ચ સુધી વ્યાજની રકમમાં 70 ટકા સુધીની રાહત અપાઈ રહી છે.