અમદાવાદમાં બિલ્લી પગે કોરોનાના કેસ વધતા તંત્ર થયુ સતર્ક, એસ.ટી ડેપો અને રેલવે સ્ટેશન પર મુસાફરોના કોવિડ ટેસ્ટિંગ શરૂ કરાયા
અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી
કેસ વધતા તંત્ર આવ્યુ હરકતમાં
એસ.ટી અને રેલવે પર શરૂ કરાયા ટેસ્ટિંગ બુથ
અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ પગપેસારો કરી દીધો છે. ધીમે ધીમે કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વધી રહી છે.શહેરમાં છેલ્લા 20 દિવસથી કોરોના કેસોમાં નોંધપાત્ર કેસો સામે આવતા હવે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોરોનાને ફેલાતો રોકવા માટે તંત્ર મક્કમ બન્યું હોય તેમ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એસટી બસ સ્ટેન્ડ પાસે જરૂર મુજબ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે.
ગીતામંદિર એસ.ટી પર ટેસ્ટિંગ ડોમ શરૂ
અમદાવાદમાં કોરોનાના 251 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 10 દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે. આજથી મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે તેમ કહેવામાં આવ્યુ હતું ત્યારે ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પર ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ ઘટતા જ ટેસ્ટિંગ ડોમ બંધ કરી દેવાયા હતા પરંતુ હવે કેસમાં વધારો થતા કોવિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ટેસ્ટમાં પોઝિટીવ આવનારને આઇસોલેટ કરવામાં આવશે. એસ.ટીમાં આવનારા દરેક મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.મહત્વનું છે કે તંત્ર દ્વારા લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યુ છે પરંતુ હજી પણ લોકોમાં આ અંગે કોઇ સભાનતા જોવા મળી રહી નથી. લોકો બેફામ માસ્કવિના ફરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થતુ નથી.
રેલ્વે સ્ટેશન પર ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ
તો આ તરફ અમદાવાદનું આરોગ્ય વિભાગ કાલુપુર રેલ્વે સ્ટેશન પર એક્ટિવ મોડમાં જોવા મળ્યું. અહીં તંત્ર દ્વારા મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રેલવે સ્ટેશન પર કુલ 5 ટેસ્ટિંગ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે. સ્ટેશનમાં જે શંકાસ્પદ લાગતા અને માસ્ક ન પહેર્યા હોય તેવા પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મુસાફરોને માસ્ક પહેરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.
7મેના રોજ ગુજરાતમાં કેટલા કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસ વધવાના શરૂ થઇ ગયા છે. રાજ્યમાં એકાએક કોરોના કેસોમાં વધારો થયો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 72 કેસ નોંધાયા છે.કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 363 પહોચી છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 7 કેસ, વડોદરામાં 7 કેસ, રાજકોટમાં 4 કેસ, અરવલ્લી અને વલસાડ જિલ્લામાં 2-2 કેસ, આણંદમાં એક કેસ, બનાસકાંઠામાં એક કેસ, મહેસાણામાં એક કેસ, ગાંધીનગર, સાબરકાંઠા અને ગીર સોમનાથ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા હતા. મંગળવારે રાજ્યભરમાં કુલ 43,858 નાગરિકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.02 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 10944 નાગરિકોએ જીવ ગુમાવ્યા જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકા પહોચ્યો છે.