રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સ કમિટીની મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ સાથે તાજેતરમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ મિટિંગમાં લેવાયેલા નિર્ણયના આધારે અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા કોરોનાના રસીકરણ માટે વિવિધ ફેઝ નક્કી કરાયા છે. જે અંતર્ગત કોરોનાની રસી આવ્યા બાદ ફર્સ્ટ ફેઝમાં એટલે કે શરૂઆતમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર, નર્સ સહિતના પેરામેડિકલ સ્ટાફને ફ્રન્ટ લાઇન વોરિયર્સ તરીકે ગણી તેમને રસી અપાશે. આ માટેના ડેટાબેઝને તંત્ર દ્વારા સતત અપડેટ કરાઇ રહ્યો છે.
રસી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં શહેરીજનોને મળતી થાય તેવી શક્યતા
કોરોનાની રસીના આગમન પહેલાં એક સમયે દેશના કોરોના કેપિટલ જાહેર થયેલા અમદાવાદને રસીકરણના મામલે સત્તાધીશો દ્વારા ખાસ મહત્ત્વ અપાઇ રહ્યું છે. અમદાવાદમાં ગઇ કાલે સાંજની સ્થિતિએ કોરોનાના કુલ 49,445 કેસ નોંધાઇ ચૂક્યા છે અને કોરોનાએ 2098 દર્દીનો ભોગ લીધો છે. સમગ્ર ગુજરાતમાં આજે પણ કોરોનાના કેસ અને મૃત્યુના મામલે અમદાવાદ આગળ છે. સદનસીબે દિવાળી બાદ શહેરમાં ફરી વળેલી કોરોનાની સેકન્ડ વેવ થોડી હળવી થતાં અમદાવાદીઓ કોરોનાના કેસના મામલે થોડો હાશકારો અનુભવી રહ્યા છે, જોકે કોરોનાથી થતાં મૃત્યુનો આંક આજે પણ અમદાવાદમાં ભયજનક છે.
રસી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં શહેરીજનોને મળતી થાય તેવી શક્યતા
બીજી તરફ કોરોના મહામારીના કપરાકાળમાં નાગરિકો ચાતકડોળે તેની રસીની રાહ જોઇ રહ્યા છે. કોરોનાની રસી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં શહેરીજનોને મળતી થાય તેવી શક્યતા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા રસીકરણને લગતી તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવાઇ છે.
મ્યુનિસિપલ હેલ્થ વિભાગના વડા ડો. ભાવિન સોલંકીને આ અંગે પૂછતાં તેઓ કહે છે કે તંત્રના રસી આપવાના વિવિધ ફેઝ હેઠળ ફર્સ્ટ ફેઝમાં કોરોનાના દર્દીની સારવાર સાથે સીધી રીતે સંકળાયેલ મ્યુનિસિપલ હોસ્પિટલ, મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટર-કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો પેરામેડિકલ સ્ટાફ કોરોના સામેની લડતમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ હોઇ તેમને રસી અપાશે. હાલમાં મ્યુનિ. તંત્રના 20 હજાર કોરોના ફ્રન્ટ લાઇન વોરિયર્સનો ડેટા એકઠો થયો છે, જ્યારે ખાનગી હોસ્પિટલના 10 હજાર ફ્રન્ટ લાઇન વોરિયર્સનો ડેટા પણ મેળવી લેવાયો છે. હજુ દશેક હજાર વધુ ડેટા મેળવાશે એટલે ફર્સ્ટ ફેઝમાં કુલ 40 હજાર આ ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી અપાશે.
દરરોજ 50 હજાર વ્યક્તિને કોરોનાની રસી આપી શકાશે
તંત્ર દ્વારા રસી આપવાના કેન્દ્ર તરીકે હાલના શરૂઆતના તબક્કે 100 શાળાની પસંદગી કરાઇ હોવાનું જણાવતાં ડૉ. સોલંકી વધુમાં કહે છે કે કોરોનાની રસીના સ્ટોરેજ માટે તંત્ર પાસે અર્બન હેલ્થ સેન્ટર સહિતનાં સ્થળોએ ILR મશીનની વ્યવસ્થા છે, જેના કારણે તંત્ર દ્વારા દરરોજ 50 હજાર વ્યક્તિને કોરોનાની રસી આપી શકાય તેમ છે. અત્યારે 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષ કરતાં ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોનો સર્વે કરાઇ રહ્યો છે, જેમાં 700 શિક્ષક જોડાયા છે. આ સરવે હજુ ચાર-પાંચ દિવસ ચાલે તેવી શક્યતા છે.
20 હજાર કર્મચારીની યાદી પણ તૈયાર થઇ રહી છે
આ ઉપરાંત મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ગઇ કાલે કરાયેલા એક સર્ક્યુલર મુજબ તમામ વિભાગના વડાને કોરાનાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીની માહિતી બે દિવસમાં એક્સેલ શીટમાં ભરી મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે, જે મુજબ કોરોનાની કિટની ફાળવણી, માઇક્રો કન્ટન્મેન્ટ એરિયાનો બંદોબસ્ત, ડેસ્કબોર્ડની કામગીરી તેમજ સરવે સાથે સંકળાયેલા ઇજનેર, ટેક્સ અને એસ્ટેટ વિભાગ જેવા અન્ય વિભાગના આશરે 20 હજાર કર્મચારીની યાદી પણ તૈયાર થઇ રહી છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસે દશેક દિવસમાં કોરોનાના રસીકરણને લગતા વિવિધ ફેઝના લાભાર્થીની વિગતો એકઠી થાય તેવી શક્યતા છે.
જાણો કોને ક્યારે રસી અપાશે
કોરોનાની રસીના વિવિધ ફેઝ હેઠળ ફ્રન્ટ લાઇન વોરિયર્સ બાદ પોલીસ, હોમગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ તેમજ મીડિયામાં ફરજ બજાવતી વ્યક્તિઓને પણ વોરિયર્સ તરીકે માન્યતા અપાઇ હોઇ સેકન્ડ ફેઝમાં તેમને રસી અપાશે. ત્રીજા ફેઝમાં 50 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન રસી મેળવશે, જ્યારે ચોથા અને અંતિમ ફેઝમાં 50 વર્ષથી નીચેના અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એચઆઇવી, હૃદયરોગ, કેન્સર જેવી અન્ય બીમારી એટલે કે કોમોર્બિડ કન્ડિશન ધરાવતા શહેરીજનોને રસી અપાશે તેમ પણ મ્યુનિસિપલ હેલ્થ વિભાગના વડા વધુમાં જણાવે છે.