મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ૭૫થી વધુ અર્બન હેલ્થ સેન્ટરમાં સાંજના સમયે દર્દીઓના સામાન્ય રોગ માટે ઓપીડી ચલાવાઈ રહી છે, જ્યાં દર્દીને તપાસી તેના રોગની ગંભીરતાના આધારે ઉપચાર થાય છે તેમજ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ પણ કરાય છે. જોકે હવે શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને ઘરઆંગણે ક્લિનિકનો લાભ મળવાનો છે.
ડોક્ટર સહિતના સ્ટાફની ભરતી
ચૂંટણી જીતવાનો વધુ એક ફંડા
સાંજે ૪.૦૦થી ૬.૦૦ દરમિયાન ડોક્ટર દ્વારા મહોલ્લા ક્લિનિકમાં ઓપીડી
રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલે મહોલ્લા ક્લિનિક કહો કે અર્બન હેલ્થ ક્લિનિક ગણો કે દીનદયાળ ક્લિનિકની તમામ મહાનગર તેમજ એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં જાહેરાત કરાઈ છે. ઉપરાંત શહેરના વાડજ વિસ્તારના રામાપીરના ટેકરા ખાતે મહોલ્લા ક્લિનિક શરૂ કરવાનાં ચક્રો ગતિમાન પણ થયાં છે.
ચૂંટણી જીતવાનો વધુ એક ફંડા
શહેરમાં મહોલ્લા ક્લિનિકની કવાયતથી મ્યુનિ. વર્તુળોમાં ચૂંટણી આવી અને મહોલ્લા ક્લિનિક લાવી તેવી રમૂજભરી ચર્ચા ઊઠી છે. આગામી સામાન્ય ચૂંટણીમાં અમદાવાદમાં છેલ્લી ત્રણ ટર્મથી સત્તાનાં સૂત્ર સંભાળનાર ભાજપ દ્વારા શહેરનાં વિકાસ કામોને લગતી ઝાકમઝોળભરી પુસ્તિકા પ્રસિદ્ધ કરીને અમદાવાદીઓને આંજી નાખવાની કવાયત પુરજોશમાં ચાલી રહી છે. હવે સ્લમ વિસ્તારમાં મહોલ્લા ક્લિનિકનું બીજું કંઈ નહીં, પરંતુ ચૂંટણી જીતવાનો વધુ એક ફંડા જ હોવાનું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.
સાંજે ૪.૦૦થી ૬.૦૦ દરમિયાન ડોક્ટર દ્વારા મહોલ્લા ક્લિનિકમાં ઓપીડી
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળા, આંગણવાડી તેમજ અન્ય ખુલ્લી જગ્યાએ હંગામી બાંધકામ કરીને ક્લિનિક ધમધમતી કરવાની જાહેરાત કરાઈ છે. તમામ શહેરોના મ્યુનિ. કમિશનરને સ્થળ પસંદ કરવાની તાકીદ પણ થઈ ગઈ છે. સ્લમ વિસ્તાર અને શ્રમિક વિસ્તારમાં સાંજે ૪.૦૦થી ૬.૦૦ દરમિયાન ડોક્ટર દ્વારા મહોલ્લા ક્લિનિકમાં ઓપીડી હાથ ધરાશે અને જે દર્દીને ગંભીર બીમારી હશે તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાશે તેવી જાહેરાત પાછળ મ્યુનિ. વર્તુળો આમ આદમી પાર્ટી (આપ)ના મહોલ્લા ક્લિનિકનાં દિલ્હી મોડલને જોઈ રહ્યા છે. 'આપ' દ્વારા અમદાવાદના નારણપુરા વોર્ડમાં દસ સ્થળ પર બે દિવસ માટે મહોલ્લા ક્લિનિક શરૂ કરાઈ હતી તેનો ઉલ્લેખ પણ થઈ રહ્યો છે.
અમદાવાદની ૩૦ ટકાથી વધુ વસ્તી સ્લમ વિસ્તારમાં
અમદાવાદની ૩૦ ટકાથી વધુ વસ્તી સ્લમ વિસ્તારમાં રહે છે એટલે શહેરમાં ૧૦૦૦ મહોલ્લા ક્લિનિક ધમધમતી કરવાનો લક્ષ્યાંક મ્યુનિ. તંત્રને અપાયો છે. ગરીબોને ઘરઆંગણે સરકારી ખર્ચે મફતમાં દવા અને ઉપચાર થઈ શકે તેવો આશય મહોલ્લા ક્લિનિકનો છે. જે તે સ્લમ વિસ્તાર ઉપરાંત પાકું મકાન ધરાવતા શ્રમિક વિસ્તારમાં પણ મહોલ્લા ક્લિનિક ચાલુ કરાશે. આ માટે ૨૦૦૦ની વસ્તી અથવા ૪૦૦થી ૫૦૦ ઘર નિર્ધારિત કરાયાં છે. જે સ્લમ વિસ્તારમાં ઓછામાં ઓછા ૨૦૦૦ લોકોની વસ્તી હશે ત્યાં ઘરઆંગણે ગરીબોને ડોક્ટર ઉપલબ્ધ થશે. અલબત્ત ૫૦૦૦ની વસ્તીમાં પણ એક જ ક્લિનિક મંજૂર કરાશે.
ડોક્ટર સહિતના સ્ટાફની ભરતી
જોકે મહોલ્લા ક્લિનિક માટે MBBS પાસ ડોક્ટર સાંજના બે કે ત્રણ કલાક માટે સરળતાથી મળી શકે તેમ નથી એટલે તંત્ર દ્વારા આયુર્વેદિક અથવા હોમિયોપેથિક ડોક્ટરની વધુ પસંદગી કરાશે. અલબત્ત ડોક્ટર સહિતના સ્ટાફની ભરતી તંત્ર દ્વારા કરાશે કે તેનું આઉટ સોર્સિંગ કરાશે જેવી નીતિ હજુ હવે ઘડાશે.
અલબત્ત સ્લમ વિસ્તારમાં મોટા ભાગના કિસ્સામાં જે તે દર્દીનું સમયસર નિદાન ન થવાથી મૃત્યુ થતું હોય છે એટલે મહોલ્લા ક્લિનિક કે દીનદયાળ ક્લિનિકના આઇડિયાથી ગરીબોના રોગનું સમયસર િનદાન થઈ શકશે અને મૃત્યુનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે એટલે આ જાહેરાતને મ્યુનિ. વર્તુળોએ મોટા પાયે વધાવી પણ
લીધી છે.