મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે સવારે બોડકદેવ વોર્ડમાં ૧ર૦ વર્ષ જૂના માતાજીના મંદિર પર બુલડોઝર ફેરવાતાં તેના શહેરમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. શહેરમાં ચારે તરફ ટીપી રસ્તા પર વિવિધ ધર્મનાં સ્થાનકના એક અથવા બીજા પ્રકારના કરોડો રૂપિયાનાં દબાણ છે, પરંતુ તેવાં દબાણને દૂર કરવાના મામલે તંત્રની હિંમત તૂટી જાય છે.
જ્યારે બહુમતી સમાજના શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ખુલ્લેઆમ રમત રમાય છે. ટીપી રસ્તાના ટ્રાફિકને અડચણરૂપ જે તે ધાર્મિક સ્થળ આવતું હોવાનું કારણ આગળ ધરીને તંત્ર તેના પર હથોડા વિંઝતાં ખચકાટ અનુભવતું નથી. તેવી રોષ મિશ્રિત વ્યથા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી તંત્ર પર ભારે ફિટકાર વરસાવ્યો હતો.
૧ર૦ વર્ષ જૂના મેલડી માતા અને ઝાંપડી માતાના મંદિરને તોડવા તંત્રની ટીમ પહોંચી
એક તરફ ટાગોર હોલમાં આજે સવારે મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી બીજી તરફ સિંધુ ભવન રોડ પર આવેલા ૧ર૦ વર્ષ જૂના મેલડી માતા અને ઝાંપડી માતાના મંદિરને તોડવા માટે એસ્ટેટ વિભાગની ટીમ જેેસીબી મશીન લઇને પહોંચી ગઇ હતી. સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની એક સદીથી પણ વધુ જૂના મંદિરને તોડવાની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
સ્થાનિક લોકોનો આક્ષેપઃઅમીર લોકોના દબાણથી તંત્રે ડિમોલેશન હાથ ધર્યું
સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે કેટલાક માલેતુજાર લોકોની ગાડીને મંદિરના શ્રદ્ધાળુઓની ભીડથી ક્યારેક અટવાવું પડતું હોઇ તેઓએ મ્યુનિ. સત્તાવાળાઓ પર દબાણ કર્યું હતું. આ અમીર લોકોના દબાણથી તંત્રે ડિમોલેશન હાથ ધર્યું હતું. મંદિર રોડને નડતરરૂપ નહોતું. જો નડતરરૂપ હતું તો આટલાં વર્ષ સુધી તંત્ર કેમ ખામોશ રહ્યું?
દરમિયાન મંદિર માટે તંત્રે વૈકલ્પિક વ્યવસ્થા ન આપતાં તેના અખંડ દીવા અને માતાજીની મૂર્તિની પવિત્રતા જળવાશે કે કેમ? તેને લઇ શ્રદ્ધાળુુઓ ચિંતાતુર બન્યા છે. કેટલાક તો આક્રોશભેર કહે છે, અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, પરંતુ હવે મંદિર તોડનાર ભાજપને મત આપીને પસ્તાઇ રહ્યા છે. બીજી તરફ મંદિરના મહંત અને તેમના સમર્થકોએ મંદિર તોડવા સામે વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
પોલીસ દ્વારા મહંતની અટકાયત કરાઇ
ત્યારબાદ પોલીસ દ્વારા મહંતની અટકાયત કરાઇ હતી. આ ઉપરાંત નવરાત્રિ પૂર્ણ થયા બાદ સદીથી પણ વધુ જૂના માતાજીના મંદિર પર બુલડોઝર ફેરવાયાના સમાચાર મળતાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ જેવાં હિંદુવાદી સંગઠનોમાં પણ રોષ ફેલાતાં તેમના અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા છે, જોકે આ મામલે ઉત્તર-પશ્ચિમ ઝોનના એક પણ જવાબદાર અધિકારીનો ફોન પર સંપર્ક થઇ શક્યો નથી.