અમદાવાદ શહેરને સ્માર્ટ શહેર ડિજિટલ શહેર અને સ્વચ્છ શહેર તરીકે માત્ર વાતોથી ઓળખાવવામાં જેટલો ઉત્સાહ દાખવવામાં આવે છે તેટલો ઉત્સાહ નાણા વાપરવામાં દાખવવામાં આવતો નથી. હજારો કરોડોની અંદાજપત્રીય જોગવાઈ બાદ પણ સત્તાધીશો જનસુખાકારી પાછળ નાણા વાપરવામાં ઉદાસીન રહ્યા છે. ત્યારે સામાન્ય નગરજનો માટે એએમસીનું બજેટ માત્ર ખોટી પબ્લિસિટી અને બેવકૂક બનાવવાના એક પેંતરા સિવાય બીજું કશું નથી તેવી લાગણી ઉભી થઈ રહી છે. જોઈએ આ અહેવાલ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી બહાર વિપક્ષ દ્વારા કરાઈ રહેલું આ વિરોધ પ્રદર્શન અમદાવાના અનેક સામાન્ય નાગરિકોની લાગણીની જ અભિવ્યકિત છે. આ વિરોધ પ્રદર્શનમાં કોઈ સામાન્ય નાગરિક જોવા નથી મળતો કેમકે તે હજુ એએમસીના બજેટના આંકડાઓ સમજવા માટે ગોથા ખાઈ રહ્યો છે પરંતુ જેને વિપક્ષ કહેવાય તે ઘણુ જાણી ચૂક્યો છે. એએમસી આંકડની માયાજાળ રચી લોકોને બેવકૂફ બનાવી રહી છે. દર વર્ષે શહેરના વિકાસ માટે એએમસી મોટું બજેટ તો બનાવે છે પરંતુ વર્ષના અંતે સિફત પૂર્વક બજેટ રિવાઇઝડ કરીને રકમ ઘટાડી દે છે.
છેલ્લા 13 વર્ષ દરમિયાન મજૂર થયેલું બજેટ અને ત્યાર બાદ વર્ષના અંતે તેને ઘટાડીને બજેટ રજૂ કરવામાં આવતું રહ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે એએમસી પોતાની નબળી કામગીરી છુપાવવા માટે આંકડાની માયાજાળ રચીને લોકોના પ્રભાવિત કરવાનું કામ કરી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ વર્ષ 2014-15માં રૂ.5301 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેને વર્ષના અંતે રિવાઈઝડ કરીને રૂ.4262 કરોડ કરી દેવામાં આવ્યું.
વર્ષ 2015-16માં રૂ.5665 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેને વર્ષના અંતે રિવાઈઝડ કરીને રૂ.4835 કરોડ કરી દેવામાં આવ્યું. વર્ષ 2016-17માં રૂ.6080 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેને વર્ષના અંતે રિવાઈઝડ કરીને રૂ. 5044 કરોડ કરી દેવામાં આવ્યું. વર્ષ 2017-18માં રૂ.6501 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેને વર્ષના અંતે રિવાઈઝડ કરીને રૂ. 5350 કરોડ કરી દેવામાં આવ્યું. વર્ષ 2018-19માં રૂ.6990 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેને વર્ષના અંતે રિવાઈઝડ કરીને રૂ. 5755 કરોડ કરી દેવામાં આવ્યું.
અહી એ સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશન પોતાની નબળી કામગિરી છુપાવવા માટે મોટી રકમના બજેટ રજૂ કરે છે. પોતાની તિજોરી કે પોતાની આવક કરતાં બમણી રકમના બજેટ મજૂર કરીને લોકોની વાહવાહી મેળવવાનો એક નુસખો એએમસીના સત્તાધીશો અને અધિકારીઓએ અપનાવી દીધો છે. જેમાં આ પ્રકારની રીતથી શહેરનો વિકાસ એટકે છે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી.
અમદાવાદ મ્યુનિ કોર્પોરેશને 13 વર્ષમાં શહેરના વિકાસ આધારિત બજેટ રજૂ કર્યા છે પરંતુ શહેરમાં કેટલાંય એવા વિસ્તારો છે જ્યાં હજી સુધી ગટર પાણી રસ્તા અને દવાખાના જેવી સુવિધાથી વંચિત છે. આમ છતાં એએમસીએ 13 વર્ષમાં 14366 કરોડ રૃપિયા ખર્ચ કર્યા જ નથી. એટલે કે આટલી બધી અસુવિધાઓ વચ્ચે એએમસી બજેટની પુરતી રકમ ખર્ચ કરવામાં નિષ્ફળ નિવડ્યુ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં કુલ બજેટ માંથી ઉદાસીન વલણને કારણે નહીં ખર્ચેલી રકમ પર નજર કરવામાં આવે તો વર્ષ-2014-15માં રૂ.5301 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેમાંથી રૂ.1040 કરોડ જેટલી રકમ વપરાયા વગર જ પડી રહી હતી. વર્ષ-2015-16માં રૂ.5665 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેમાંથી રૂ.8300 કરોડ જેટલી રકમ વપરાયા વગર જ પડી રહી હતી.
વર્ષ-2016-17માં રૂ.6080 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેમાંથી રૂ.1491 કરોડ જેટલી રકમ વપરાયા વગર જ પડી રહી હતી. વર્ષ-2017-18માં રૂ.6501 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેમાંથી રૂ.1151 કરોડ જેટલી રકમ વપરાયા વગર જ પડી રહી હતી. વર્ષ-2018-19માં રૂ.6990 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેમાંથી રૂ.1235 કરોડ જેટલી રકમ વપરાયા વગર જ પડી રહી હતી. આ બાબતનો એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાની પરિભાષામાં આ રીતે
એક તરફ એએમસીના સત્તાધીશો દ્વારા બજેટને રિવાઈઝડના નામે ઘટાડવામાં આવે છે તો બીજીબાજુ શાસકોની ઉદાસીનતાના કારણે બજેટમાંથી મસમોટી રકમ વાપર્યા વિનાજ પડી રહે છે. આ બન્ને અંતિમ છેડા વચ્ચે શહેરનો નાગરિક પ્રાથમિક સુવિધા વિના પોતાના રોશજદા જીવનમાં ભીંસાતો રહે છે અને સત્તાધીશો આંકડાની માયાજાળ ઉભી કરી વિકાસનો ભ્રમ ઊભો કરતા રહે છે.
શહેરમાં પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો શહેરની મુખ્ય જરૂપિયાત પાણી છે પરંતુ શહેરમાં 20 ટકા એવા વિસ્તાર છે જ્યાં પીવાનું શુદ્ધ પાણી મળતુ નથી. શહેરમાં 50 ટકા કરતાં વધુ લોકો ચાલી અને ઝૂપડપટ્ટીમાં રહે છે. આ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં એએમસી નિષ્ફળ નિવડ્યું છે. અમદાવાદને દરરોજ 1100 M.L.D પાણીની જરૂર પડે છે. કોર્પોરેશન 1200 MLD પાણી શુદ્ધિકરણ કરે છે. જેમાંથી લોકોને માત્ર 830 MLD પાણી મળે છે. બાકીનું પાણી ક્યાં જાય છે તેનો હિસાબ એએમસી પાસે નથી.
એએમસીએ 24 કલાક પાણી સપ્લાયનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. આ પ્રોજેક્ટ જોઘપુર સ્ટેડિયમ નવરંગપુરા અને નારાયણપુરામાં શરૂ કરવાનો હતો. આજે 5 વર્ષ વીતવા છતાં હજુ સુધી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી. શહેરમાં 10 ટકા એવો વિસ્તાર છે જ્યાં હજી સુધી પાણીનું નેટવર્ક નાખવામાં આવ્યું નથી. જો કે આ ચિત્ર સામે હોવા છતાં એએમસી મેયર પોતાનો બચાવ આ રીતે કરી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં રોડની વિકટ સમસ્યા છે. ચોમાસામાં રોડમાં ભ્રષ્ટાચાર સામે આવે છે. એએમસી દર વર્ષે 250 કરોડ રૃપિયા માત્ર રોડ રિસરફેસ પાછળ ખર્ચ કરે છે. શહેરમાં રોડની સમસ્યાનું કોઇ સમાધાન થયુ નથી. આરોગ્યની વાત કરીએ તો શહેરમાં એએમસી હેલ્થ વિભાગ રોગચાળો પર કાબુ મેળવવામાં નિષ્ફળ નિવડ્યુ છે. શહેરમાં સ્વાઇન ફુલ મેલેરિયા ઝેરી મેલેરિયા અને અન્ય પાણી જન્ય રોગચાળાના કારણે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. અંદાજપત્રની જોગવાઈઓ અને શહેરીજનોને અગવડો વચ્ચે મોટો વિરોધાભાસ જોવા મળે છે. કદાચ તંત્રને નાગરિકો કરતાં ઐતિહાસિક ધરોધરની જાળવણીમાં વધારે રસ હશે.