ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કપરી પરિસ્થિતિ અમદાવાદ અને સુરત શહેરની જોવા મળી રહી છે. જ્યાં કોરોનાના આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાને લઇને તંત્ર દ્વારા રણનીતિ બદલવામાં આવી છે. AMCએ ફરી પૂર્વ કમિશનર વિજય નહેરની રણનીતિ અપનાવી એગ્રેસીવ ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરી છે.
અમદાવાદમા કોરોનાને લઈને AMCની રણનીતિ બદલાઇ
પૂર્વ કમિશનર વિજય નેહરાની રણનીતિ ફરી અપનાવાઇ
ટેસ્ટિંગ વધતા માઈક્રો કન્ટેઇનમેંટ ઝોનમા પણ વધારો
અમદાવાદ શહેરમાં કોરોનાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિમાં ફરી બદલાવ કરવામાં આવ્યો છે. શહેરમાં વધતા કોરોનાના કેસને લઇને આ પગલું લીધું છે. જેમાં AMCએ પૂર્વ કમિશનર વિજય નેહરાની રણનીતિને અપનાવતા ફરી ઍગ્રેસીવ ટેસ્ટિંગ પ્રક્રિયા શહેરમાં શરૂ કરાઇ છે.
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઇને રેપીડ કીટ દ્વારા શહેરમાં દરરોજ 1000 લોકોનું ટેસ્ટિંગ કરાવાનું નક્કી કરાયું છે. જો કે ટેસ્ટિંગ વધતા માઈક્રો કન્ટેનમેંટ ઝોનમા પણ વધારો થઇ રહ્યો છે.5 દિવસમા માઈક્રો કન્ટેનમેંટ ઝોન વધી ગયા છે. હાલ શહેરમાં કુલ 127 માઇક્રો કન્ટેનમેંટ ઝોન છે.
કોરોનાનો ટેસ્ટ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી PCR ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ટેસ્ટનું પરિણામ આવતા બેથી ત્રણ દિવસ નીકળી જતા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા રેપિડ કિટનો ઉપયોગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા 20 હજાર જેટલી કીટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, આ કીટની વિશેષતા એ છે કે ટેસ્ટ કર્યાના અડધો કલાકની અંદર જ પરિણામ આવી જાય છે.
એક લાઇન આવે તો નેગેટિવ, બે લાઇન આવે તો પોઝિટિવ
રેપિડ કીટની વાત કરીએ તો તેમાં વ્યક્તિના નાકમાંથી સેમ્પલ લેવામાં આવે છે અને લીધેલા સેમ્પલને એક કેમિકલમાં મિક્સ કરી કીટ પર મૂકવામાં આવે છે. જો કીટ પર એક લાઈન આવે તો વ્યક્તિ નેગેટિવ હોય છે અને જો બે લાઈન આવે તો વ્યક્તિ પોઝિટિવ હોય છે.
આ કિટનું પરિણામ મુંબઈ, દિલ્હી, સુરત વગેરેમાં સચોટ છેઃ આરોગ્ય અધિકારી
અગાઉ દેશના વિવિધ શહેરોમાં રેપિડ કીટ લાવવામાં આવી હતી પરંતુ તે બહુ વિશ્વાસપાત્ર ના હોવાથી પરત ખેંચી લેવામાં આવી હતી. ત્યારે પ્રશ્ન એ થાય કે રેપિડ કીટ દ્વારા કરાતા ટેસ્ટની વિશ્વસનીયતા કેટલી ? જોકે આરોગ્ય અધિકારીનું માનીએ તો આ કિટનો ઉપયોગ મુંબઈ, દિલ્હી, સુરત વગેરેમાં થઈ રહ્યો છે અને તે સફળ રહ્યો છે. આ કીટ સ્વદેશી છે અને એક કીટની કિંમત 500 રૂપિયાની આસપાસ છે. તેનું પરિણામ સચોટ છે.
AMCએ કોરોના સંક્રમણને અટકાવવા ઘર સેવા સંજીવની વાન શરૂ કરવાનો લીધો હતો નિર્ણય
આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે મોટો નિર્ણય લેવાયો હતો. કોરોના ઘર સેવા સંજીવની વાન સેવા શરૂ કરવાની તૈયારી કરી છે. હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને સેવા આપશે. 10 ટીમ વચ્ચે 1 ડોક્ટરની ફાળવણી કરવામાં આવી છે. AMCએ 150 પેરા-મેડિકલ સ્ટાફની ફાળવણી કરી છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસ વધારો થઈ રહ્યો છે. સોમવારના મોડી રાત સુધીના આંકડાને ધ્યાનમાં લઇને તો રાજ્યમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે નવા 735 કેસ રાજ્યમાં નોંધાયા હતા. જેના કારણે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 36 હજાર 858 થઈ ગઈ હતી. જ્યારે 423 દર્દીઓ કોરોનાને મ્હાત આપી પોતાના ઘરે પરત ફર્યા હતા. હાલ રાજ્યમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 8 હજાર 573 થઈ ગઈ હતી.