આજે અમદાવાદમાં કોરોના સંકટ મુદ્દે સ્ટ્રેટેજી નક્કી કરવા મુદ્દે AMC કમિશ્નર મુકેશ કુમાર, DyMC અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓએ અમદાવાદનો કોરોનાનો હવાલો સંભાળવા માટે મુકાયેલા એડિશનલ ચીફ સેક્રેટરી અધિકારી રાજીવ કુમાર ગુપ્તા સાથે મિટિંગ કરી હતી અને કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા.
રાજ્યના મહાનગર અમદાવાદને કોરોનાએ પોતાના સકંજામાં લીધું છે જ્યાં બુધવારે નવા 291 કેસ નોંધાયા છે. અમદાવાદ જીલ્લામાં કુલ કેસ 4716 જેટલાં છે જયારે 298 લોકો મોતને ભેટ્યા છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસ કેન્દ્ર સરકારમાં ચિંતાનું કારણ બન્યા છે.
બેકાબૂ રીતે વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને સિનિયર IAS અધિકારી ડૉક્ટર રાજીવ કુમાર ગુપ્તાને કોરોના સંકટ મુદ્દે અમદાવાદમાં થતી કામગીરીના નિરીક્ષણનો ચાર્જ સોંપ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ મહાનગર પાલિકાના કમિશ્નર વિજય નહેરા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતા તેમને 2 અઠવાડિયા હોમ ક્વોરેનટાઈન કરી દેવાયા છે અને સિનિયર IAS અધિકારી મુકેશ કુમારને ઇનચાર્જ કમિશ્નર બનાવાયા છે. જે રાજીવકુમારના ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કામ કરશે. આ નવા અધિકારીઓ સાથે ગુજરાતમાં RAFના જવાનોની ટુકડીઓ ખડકી દેવાઈ છે. AMCએ જાહેર કરેલા 7 દિવસના લોકડાઉનમાં તંત્ર આ પ્રમાણેની વ્યૂહ રચના અપનાવીને શહેરમાં કોવિડ 19ને નિયંત્રણમાં લાવવાના પ્રયત્નો કરશે.
કોવિડ-19 સામેની લડાઈ માટે અમદાવાદ મ્યુનિ.ની નવી વ્યૂહરચના આ પ્રમાણે છે.
1- વોર્ડ પ્રમાણે કોવિડ-19ની કન્ટેઈન્મેન્ટ સ્ટ્રેટેજી તમામ 48 વોર્ડ માટે નક્કી કરી આવતીકાલે મિટિંગમાં રજૂ કરાશે. આમાં જે-તે વોર્ડની વર્તમાન કોરોનાની સ્થિતિ, ટેસ્ટિંગ સ્ટ્રેટેજી, લોકડાઉન અમલ, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા, ક્વોરેનટાઈન ફેસીલીટી વગેરેનો સમાવેશ કરાશે.
2- શહેરની 9 ખાનગી હોસ્પિટલ જેમાં કુલ 1000 બેડ હોય તેવી હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ જાહેર કરવામાં આવશે. આની જવાબદારી જે-તે DyMCને સોંપાઈ છે.
3- દરેક ઝોનમાં 3-સ્ટાર કેટેગરી અને નીચેની પરંતુ ઓછામાં ઓછા 50 એસી રૂમ ધરાવતી ખાનગી હોટેલ્સની ઓળખ કરીને 500 બેડનું કોવિડ કેર સેન્ટર સ્થપાશે. આની જવાબદારી જે-તે DyMCને સોંપાઈ છે.
4-તમામ ખાનગી ક્લિનિક/નર્સિંગ હોમ/હોસ્પિટલોને 48 કલાકમાં શરૂ કરવા નોટિસ અપાશે. જો તેઓ આમ નહીં કરે તો તેમના લાઈસન્સ રદ કરી દેવાશે. જે ડોક્ટર તેમના ક્લિનિક ખોલતા ન હોય તેમને કોવિડ કેર સેન્ટર અથવા ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની સેવામાં તૈનાત કરાશે.
5- શાકભાજી, ફળફળાદિ વેચનારા, કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, સુપરમાર્કેટ અને આઈસક્રીમ પાર્લર ધરાવતા તેમજ સ્વીગી, ઝોમેટો, ડોમિનોઝ વગેરેના હોમ ડિલિવરી બોય જેવા સુપર સ્પ્રેડર્સ પર 7 મેના રોજ સવારે 6 વાગ્યાથી 7 દિવસ સુધી AMCની હદના વિસ્તારોમાં પ્રતિબંધ. આમાં ફક્ત દૂધ અને દવાની સેવાને છૂટછાટ મળશે.
6- દરેક ઝોનમાં સરેરાશ 2,000 સુપર સ્પ્રેડર નોંધાયા છે. આ તમામનું દરેક ઝોનમાં રોજના 500ના ટાર્ગેટ સાથે સ્ક્રીનિંગ કરાશે. આના આધારે શંકાસ્પદ સુપર સ્પ્રેડર્સનું પણ ટેસ્ટિંગ કરાશે. આગામી બુધવાર એટલે કે 13 મે સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાશે.
7- વધુ સૂચના જારી ન કરાય ત્યાં સુધી ATM સિવાય તમામ બેંકની બધી શાખાઓ જે રેડ ઝોનમાં આવેલી છે તે બંધ રહેશે.
8- સામાન્ય અને હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે તેમના ઘરમાં સરકારી માર્ગદર્શિકા અનુસાર અલગ રૂમ અને શૌચાલયની સુવિધા હશે તો તેમને ત્યાં જ રહેવા દેવાશે. આવા દર્દીઓની હેલ્થ વર્કર દરરોજે મુલાકાત લેશે.