AMC જવાબદારીમાંથી છટકી રહી છે 3 વર્ષ માટે ખાનગી સંસ્થાને પાર્ટી પ્લોટ-કોમ્યુનિટી હોલનું સંચાલન કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ
કોન્ટ્રાક્ટરોને ચાંદી, પ્રજા પરેશાન
પાર્ટી પ્લોટ-કોમ્યુનિટી હોલનું ખાનગી સંચાલન થશે
કમાણી માટે AMCનો ખાનગીને કોન્ટ્રાક્ટ
કોરોનાકાળથી માંડ અમદાવાદીઓને થોડી રાહત મળી છે, તેવામાં AMCના એક નિર્ણયે ફરી મોંઘવારીનો માર સહન કરતી જનતાને ઝટકો આપ્યો છે. પ્રજા પાસે ટેક્સ ઉઘરાવવાની વાત આવે એટલે AMC કોઈ કસર ન છોડે પણ જ્યારે જનતાને રાહત આપવાની વાત આવે ત્યારે હમેશાની જેમ પાછી પાની કરતાં પણ વિચાર ન કરે.
કોર્પોરેશનના હૉલ અને પાર્ટી પ્લોટનું ખાનગી સંચાલન..!
ફરી એક વખત AMCએ તઘલઘી નિર્ણય કર્યો છે હવે પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ નું સંચાલન ખાનગી હાથમાં સોંપવાની પેરવી છે.કોન્ટ્રાકટરોને કમાણી કરાવવા AMCની અંદરો અંદર હિલચાલ ચાલી રહી છે. અને વધુ એક કમાણી કરવાનું સાધન બનાવાયું છે. ખાનગી કોન્ટ્રાક્ટરોને હોલ અને પાર્ટી પ્લોટ સંચાલન કરવા આપતા લગ્ન કે કૉઈ પણ પ્રસંગ માટે પહેલા કરતાં વધુ ચાર્જ ચૂકવવો પડશે . ડેકોરેશનનાં નામે પ્રજા પાસેથી ઉંચા રૂપિયા વસૂલવામાં આવશે.
AMCએ ટેન્ડર બહાર પાડ્યું
મહત્વનું છે કે પેહલા વ્યાજબી ભાવે AMC દ્વારા પાર્ટી પ્લોટ અને હોલનું સંચાલન કરવામાં આવતું હતું. 3 વર્ષ માટે ખાનગી સંસ્થા ને સંચાલન કરવા ટેન્ડર પ્રક્રિયા કરવાંમાં આવી છે. મનપાના આ નિર્ણયથી અનેક નાગરિકોના ખિસ્સા પર સીધી અસર થશે.મધ્ય , ઉત્તર અને પૂર્વ ઝોનના પાર્ટી પ્લોટ હોલ ,કોમ્યુનિટી સેન્ટર ,ઓપન એર થિયેટર , પિકનિક હાઉસનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
AMC પાસે 35 કોમ્યુનિટી હોલ છે
26 પાર્ટી પ્લોટ અને 1 પિકનિક હાઉસ
6 ઓડિટોરિયમ હોલ ઉપલબ્ધ છે
હાલ 24 હોલના ટેન્ડર પ્રક્રિયા હાથ ઘરાઇ
કોન્ટ્રાકટર પાસેથી નજીવો ચાર્જ, પ્રજાને લૂટવાની..!
અહીં સવાલ એ થાય છે કે જનતા ટેક્ષ ભરે છતાં ખાનગી રીતે સંચાલન કરાવી AMC રૂપિયા રાળવા કેમ માંગે છે? મોંઘવારીમાં રાહત આપવાની જગ્યાએ કેમ પ્રજા પાસેથી રૂપિયા ખંખેરવાના નાટક કરાય છે. પ્રજાના ટેક્ષના પૈસે બનેલ હોલ પાર્ટી પ્લોટ પર હવે ખાનગી સંચાલકો સુવિધાના નામે મસમોટી ઉઘરાણી કરશે તેનું શું? ખુરશી , તપેલા , મંડપ , સહિત ડેકોરેશનનો માલ સામાન મોંઘા ભાવે ભાડેથી આપશે, પણ નજીવો ચાર્જ કોન્ટ્રાકટર પાસેથી વસૂલી પ્રજા પાસેથી ઉંચો ભાવ વસૂલવામાં આવશે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
અમદાવાદ મહાનગરપાલિકા પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે?
પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલના સંચાલનના ખાનગીકરણથી પ્રજાને શું ફાયદો?
પ્રજાને તેમના ટેક્ષના રૂપિયા સામે સુવિધા રૂપે વળતર ક્યારે મળશે?
પ્રજાના ટેક્ષના પૈસાનું મનફાવે તેવું સંચાલન ક્યાં સુધી કરાશે?
શાસક વિપક્ષ આમને સામને
આ મામલે મેયર કિરીટ પરમાર નું કેહવુ છે કે ખાનગી સંચાલન થી હોલ પાર્ટી પ્લોટ સચવાશે જાળવણી થશે.અને તેમનું કેહવુ છે કે નીતિ નિયમ મુજબ આ ભાવ નક્કી કરવામાં આવ્યા છે પરંતુ આ ભાવ એટલા વધુ છે જે મેયર સાહેબ ને ખબર જ નથી. વિપક્ષ નેતા શહેજાદ ખાને વિરોધ કરતા જણાવ્યું છે કે કોન્ટ્રાકટર ને કમાણી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય જનતા કે જેને લાભ મળવો જોઈએ તે નથી મળતો માત્ર ભાજપના સત્તાધીશો કમાણી કરવામાં જ માને છે