ગુજરાતના મહાનગર અમદાવાદની ૭૦ લાખથી વધુ વસ્તીને કોરોના નામની મહામારીથી બચાવવા માટે તંત્રને કમર કસી છે. આ માટે AMCના સૌથી ટોચના અધિકારી એટલે કે અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા પોતાની ટીમ સાથે દિવસ રાત આ કામગીરીમાં જોડાયા છે. પોતાના અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો સમય તેમણે VTV સાથે વાત કરીને અમદાવાદની પ્રજા સુધી પોતાના વિચારો અને પોતાનો સંદેશો પહોચાડ્યો હતો.
AMCના કમિશ્નર વિજય નહેરાએ VTV સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં વાતચીત કરતા શહેર આ રોગ સામે લડવા કેટલું સજ્જ છે અને તેઓ પોતે અંગત રીતે કેવી કેવી રીતે માનસિક સ્વસ્થતા જાળવે છે તે અંગે વાત કરી હતી.
નહેરા સાહેબે જણાવ્યું હતું કે AMCએ પહેલેથી જ આ રોગને ગંભીરતાથી લીધો હતો. જયારે ચીન સિવાય કોઈ દેશમાં આ રોગના એટલા વધુ દર્દીઓ નહોતા ત્યારથી જ અમદાવાદમાં જાન્યુઆરી મહિનાના છેલ્લા તબક્કાથી જ એરપોર્ટ ઉપર ચીનથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ ચાલુ કરાવી દેવાયું હતું. આ ઉપરાંત WHOએ આ રોગને મહામારી જાહેર કર્યો એ પહેલા જ AMCએ આ રોગ સામે લડવાનો એક્શન પ્લાન બનાવેલો હતો. સાવચેતી સ્વરૂપે AMCએ લાખો માસ્ક ખરીદી રાખ્યા હતા. આ પગલાની તે સમયે ટીકા થઇ હતી પણ અગમચેતી સ્વરૂપનો આ નિર્ણય પાછળથી ઉપયોગી થયો હતો.
વિજય નહેરાના કહેવા પ્રમાણે અત્યારે AMCની જે પણ સારી કામગીરી છે તેનો શ્રેય તેમને પોતાને નહીં પણ AMCના ૨૫૦૦૦ જેટલા કર્મચારીઓની જે ટીમ બનેલી છે તેમને જાય છે. આવનાર સમયમાં જયારે આ રોગ વધુ ગંભીર બનશે ત્યારે પણ આ ટીમ મહત્વનો ભાગ ભજવશે.
તેમણે પ્લાઝમા થેરાપી વિષે વાત કરતા કહ્યું હતું કે અમદાવાદમાં ફક્ત પ્લાઝમા થેરાપી અપાઈ જ નથી રહી પરંતુ તેની અલગ અલગ વયના અને અલગ અલગ તીવ્રતાથી પીડાતા દર્દીઓ ઉપર કેટલી અસર થાય છે તેની ઉપર સઘન અને વૈજ્ઞાનિક ઢબે રીસર્ચ થઇ રહ્યું છે.
પોતાના હાલના શેડ્યુલ વિષે વાત કરતા નહેરા સાહેબ કહે છે કે હાલની પરિસ્થિતિમાં કોઈ નક્કી સમયરેખા રહી નથી. AMC એક એવું ડીપાર્ટમેન્ટ છે જે દિવસ રાત ૨૪ કલાક કામ કરી રહ્યું છે.
પોતે કેટલું પ્રેશર અનુભવે છે તે મુદ્દે તેઓ જણાવે છે કે પ્રેશર લેવાથી કોઈ ઉકેલ નથી આવતો. ઉલટું તણાવમાં આવવાથી કામ બગડે છે. પોતાની પાસે રહેલા સંસાધનોનો ઉપયોગ કરીને અને બીજાએ કરેલી ભૂલો અને બીજાએ મેળવેલી સફળતા પરથી શીખ લઇને કૂલ માઈન્ડથી કામ કરીને જ આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય છે.