અમદાવાદમાં રોડ રસ્તાની ખરાબ સ્થિતિ અંગે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ AMC કમિશનર એક્શનમાં
અમદાવાદમાં રોડ રસ્તાની ખસ્તા હાલત
વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા કમિશનર એક્શનમાં
'રોડ રસ્તા-ફૂટપાથ રિપેર કરવામાં આવશે '
અમદાવાદ બની રહ્યુ છે સ્માર્ટ સિટી. આ સ્માર્ટ સિટીમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, બીઆરટીએસ સહિત નવા નવા બ્રિજો બનાવવામાં આવી રહ્યા છે. વિકાસની દ્રષ્ટિએ અમદાવાદ હાઇટેક બની રહ્યુ છે, મેગાસીટી બની રહ્યું છે પરંતુ આ બધુ શું કામનું જ્યારે રોડ રસ્તાના જ કોઇ ઠેકાણાં ન હોય ! જી હા, અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં રોડ રસ્તાની બદ્દત્તર સ્થિતિ છે. પછી તમે ફોર વ્હિલમાં જાવ કે ટુ વ્હિલરમાં. રસ્તા એટલી હદે ખરાબ છે કે જો સાવચેતી ન રાખી તો અકસ્માત નક્કી. ત્યારે વીટીવી ન્યૂઝે અમદાવાદના રોડ રસ્તાની સ્થિતિ અંગે અહેવાલ પ્રસારિત કરતા ખુદ મ્યુનિસિપલ કમિશનર દોડતા થયા છે.
અમદાવાદના રોડ રસ્તાની ખસ્તા હાલત
અમદાવાદના રસ્તાની હાલત એ રીતે બિસ્માર બની ગઈ છે કે અમદાવાદના રસ્તા તમને અચૂકથી એડવેન્ચરની મુલાકાત કરાવી શકે છે. ભલે ને તમે લાખો-કરોડોની ગાડીમાં મુસાફરી કરો છો પરંતુ અમદાવાદના રસ્તા તમને ખટારામાં બેઠા હોય એવી ફીલિંગ અપાવશે એ વાત તો નક્કી. ખખડધજ રસ્તાને કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તેવામાં હવે અમદાવાદમાં રોડ રસ્તાની બિસ્માર હાલત અને અમદાવાદમાં બનતી ફૂટપાથથી અમદાવાદ કમિશનર લોચન સેહરા પણ આકરા પાણીએ જોવા મળ્યા. તેમણે રોષ પ્રગટ કરતા અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.
વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં
અમદાવાદ કમિશનર લોચન સેહરાએ કહ્યું કે શહેરના 1 કિલોમીટર રોડની હાલત પણ સારી નથી. અમદાવાદ કમિશનરે ડે.મ્યુ.કમિશ્નર,,આસ.મ્યુ કમિશ્નર, એન્જીન્યર સહિતના અધિકારીઓની ઝાટકણી કાઢી સ્પષ્ટ સૂચના આપી છે કે એસી કેબિનમાં બેસીને કામ ન થાય, યોગ્ય કામ કરવા માટે પોતાના વિસ્તારમાં જવું પડશે. તમામ અધિકારીને રોડ પર જઈ સમીક્ષા કરવા આદેશ આપ્યો છે.
શું કહ્યું કમિશનરે ?
અમદાવાદ કમિશ્નરએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે અમદાવાદમાં રસ્તા અને ફુટપાથને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેટલા પણ ફૂટપાથ અત્યારે તૂટેલી હાલતમાં છે તેને રિપેર કરવામાં આવશે અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવામાં આવે છે કે વહેલી સવારે તેઓ પોતાના એરિયામાં વિઝીટ કરીને ફિલ્ડ રિપોર્ટ આપશે. કમિશનરની આ વાત સાંભળીને શહેરીજનોને રાહતની લાગણી થશે પરંતુ જ્યારે આ ઉબડ ખાબડ રસ્તાથી ક્યારે છૂટકારો મળે છે તે જોવુ રહ્યું.