અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ નગરોમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે આ મામલે અમદાવાદમાં AMC એકશન મોડમાં જોવા મળ્યું છે.
અમદાવાદમાં રખડતા ઢોર મામલે AMC એકશનમાં
AMCએ 7 ઝોનમાં રાઉન્ડ ધ ક્લોક 21 ટીમ દોડતી કરી
ત્રણ દિવસમાં AMCએ 540થી વધુ ઢોર પકડયા
હાઇકોર્ટના આદેશ બાદ AMCએ 7 ઝોનમાં રાઉન્ડ ધ ક્લોક 21 ટીમ દોડતી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ ત્રીજા દિવસે 100થી વધુ ઢોર અમદાવાદમાં પકડાયા છે. ત્રણ દિવસમાં AMCએ 540થી વધુ ઢોર પકડ્યા. કુલ 72 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરાઇ. આ કાર્યવાહીને લઇને સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમની પણ મદદ લેવાઈ હતી. લમ્પી સ્કેન ડિસીઝ સામે 335 પશુનું વેક્સિનેશન કરાયું.
રખડતા ઢોર અને રોડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
મહત્વનું છે કે, રાજ્યમાં રખડતા ઢોર અને રોડ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં મનપા ઢોર મુદ્દે કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરશે તો બાર એસો.કમિટી પણ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. મહત્વનું છે કે, રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હજુ યથાવત જોવા મળી રહી છે.
ઝાયડસ બ્રિજ પર ગઇકાલે મોડી રાત્રે રખડતાં ઢોરના કારણે અકસ્માત સર્જાયો
બીજી બાજુ અમદાવાદના ઝાયડસ બ્રિજ પર ગઇકાલે મોડી રાત્રે રખડતાં ઢોરના કારણે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પણ પહોંચી છે. હાલમાં આ બન્ને શખ્સો હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે અપનાવ્યું છે આકરું વલણ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવાનો આદેશ આપ્યો છે.
26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો છે આદેશ
વધુમાં તમને જણાવી દઇએ કે, જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. પ્રસિદ્ધ કરેલા આદેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઇ છે. જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ અપાયો છે.