શહેરનાં અતિ વ્યસ્ત આશ્રમરોડ પર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજ પછી હવે શનિવારે શહેરના સૌથી લાંબા અંજલિ ફલાય ઓવરબ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે. જોકે તંત્ર દ્વારા છેક સાત વર્ષ પહેલાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે બ્રિજ કે ફલાય ઓવરબ્રિજ બાંધવા માટેની પ્રાયોરિટી નક્કી કરી હતી. તેમ છતાં ખુદ તંત્રની પ્રાયોરિટી મુજબ શહેરમાં નવા બ્રિજ કે ફલાય ઓવરબ્રિજ બનતા નથી.
જ્યાં ખરેખર જરૂર છે એ બ્રિજોનું તો હજુ ઠેકાણું ય નથી
ટ્રાફિક ઘટાડવા માટે કેન્દ્ર પ્લાનિંગ આપે પણ AMC પાલન નહીં કરવાનું
2012માં ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું હતું
પ્રથમ પ્રાયોરિટીમાં 17 બ્રિજ હતા
કેન્દ્ર સરકારની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએસઆઇઆર) પાસે તંત્રએ વર્ષ ર૦૧રમાં શહેરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ક્યાં બ્રિજ કે ફલાય ઓવરબ્રિજ બાંધી શકાય તે આશયથી જુદાં જુદાં જંકશનની ટ્રાફિક સમસ્યાનો સર્વે કરાવ્યો હતો. સર્વે મુજબ શહેરના સૌથી વધુ ગીચ ટ્રાફિક ધરાવતા ૩૪ જંકશનને ત્રણ ભાગમાં વહેંચી દેવાયા હતા. આ સર્વેમાં પહેલી પ્રાયોરિટીમાં હેલ્મેટ સર્કલ, દિલ્હી દરવાજા, અંજલિ ચાર રસ્તા, દિનેશ ચેમ્બર (બાપુનગર) અને શ્યામલ ચાર રસ્તા સહિતના કુલ ૧૭ બ્રિજ હતા.
ત્રીજા તબક્કામાં સુચવેલાં બ્રિજો અત્યારે બની ગયા
બીજા તબક્કામાં માનસી જંકશન, પરિમલ ગાર્ડન, સત્તાધાર ચાર રસ્તા, સાલ હોસ્પિટલ પકવાન સહિત સાત ફલાય ઓવરબ્રિજ સૂચવાયા હતા અને ત્રીજા તેમજ અંતિમ તબક્કામાં પુષ્પકુંજ (કાંકરિયા), ચિરાગ મોટર્સ , દાણી લીમડા સર્કલ, વિજય ચાર રસ્તા, પ્રહલાદનગર ચાર રસ્તા સહિત કુલ ૧૦ જંકશન પર ફલાય ઓવરબ્રિજ કે અંડરપાસની ભલામણ કરાઇ હતી.
સૌથી વધુ ટ્રાફિક વાળા વિસ્તારોમાં બ્રિજના કામ પડતાં મુક્યા
જો કે બ્રિજની પ્રાયોરિટીમાં ખુદ તંત્રએ ભારે ધાંધિયાં કર્યાં છે. કેમ કે સર્વે કરાવ્યા બાદ પહેલો બ્રિજ આઇઆઇએમ ચાર રસ્તા પર બંધાયો હતો કે જેની પ્રાયોરિટી પહેલાં ૧૦ બ્રિજમાં પણ ન હતી. ઇન્કમટેકસ ચાર રસ્તાના ફલાય ઓવરબ્રિજથી ઉસ્માનપુરા ચાર રસ્તા પર વધુ ટ્રાફિક જામ થઇ રહ્યો છે. દિલ્હી દરવાજા, વેજલપુર રેલવે ક્રોસિંગ, જલારામ રેલવે ક્રોસિંગ, માનસી જંકશન, પકવાન, પાંજરાપોળ, પુષ્પકુંજ, પ્રહલાદનગર ચાર રસ્તા વગેરે જગ્યાના પ્રોજેકટ એક યા બીજાં કારણોસર કાં તો પડતા મુકાયા છે અથવા વિલંબમાં છે.