અમદાવાદીઓ શહેરમાં યોજાનાર બુકફેરની ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ વખતે પુસ્તકોનો સ્ટોલ બુક કરાવનારાઓ માટે ખરાબ સમાચાર છે. ગયા વર્ષે બળાત્કાર મામલે દોષી આસારામનાં પુસ્તકોના સ્ટોલનો બની જતા વિવાદ ઉઠ્યો હતો જેથી તંત્ર આ વખતે સાવધ બન્યું છે. ઓનલાઇન બુકિંગથી તંત્ર પર પસ્તાળ પડી હતી જેથી હવે સ્ટોલ માટે ઈચ્છુક લોકોએ રૂબરૂમાં અરજી આપવી પડશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં યોજાનારા આઠમા નેશનલ બુક ફેરના આયોજન માટે તડામાર તૈયારી થઇ રહી છે. રિવરફ્રન્ટના વલ્લભસદન ખાતે આગામી તા.૧૪ થી ર૪ નવેમ્બર ર૦૧૯ સુધી યોજાનારા બુક ફેરમાં સ્ટોલ બુકિંગનો પ્રારંભ થઇ ચૂક્યો છે.
જોકે ઓનલાઇન બુકિંગના જમાનામાં જે તે પ્રકાશકે તંત્ર સંચાલિત એમ.જે. લાઈબ્રેરી જઇને ગ્રંથપાલ સમક્ષ રૂબરૂ અરજી આપી ઓફલાઇન બુકિંગની વ્યવસ્થા ઊભી કરાતા મ્યુનિ. વર્તળમાં આર્શ્ચય ફેલાયું છે.
આ વખતે તંત્ર દ્વારા વલ્લભસદનના બોટિંગ પોઇન્ટ પર નાગરિકોના મનોરંજન માટે ફલોટિંગ બોટનું વધારાનું આકર્ષણ ઊભું કરાયું છે. આ ઉપરાંત રાબેતા મુજબ એસી ડોમ, ચિલ્ડ્રન એક્ટિવિટિઝ જેવાં અન્ય આકર્ષણ પણ છે. જોકે આ વખતે બુક ફેર અગાઉની જેમ વિવાદાસ્પદ ન બને તે માટે તંત્રે 'દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીવે' તે પ્રકારે તેના સ્ટોલ બુકિંગનાં આયોજનમાં સાવધ બન્યું છે.
ગયા વર્ષની આઘાતજનક ઘટના
ગત વર્ષનો સાતમો નેશનલ બુક ફેર જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયો હતો. તે વખતે તંત્ર ર૦૦ સ્ટોલના બુકિંગ માટે ઓનલાઇન સિસ્ટમને ઉપયોગમાં લીધી હતી. તંત્ર દ્વારા www.amdavadbookfair.com પર ઓનલાઇન બુકિંગ અને પેમેન્ટની વ્યવસ્થા પ્રકાશકો માટે કરાઇ હતી. પરંતુ બળાત્કાર મામલે દોષી આસારામનાં પુસ્તકોના સ્ટોલ બુક ફેરમાં જોઇને અનેક નાગરિકો આઘાત પામ્યા હતા. આ બુક ફેરનું ગત તા.ર૪ નવેમ્બર ર૦૧૮એ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. જેમાં કોઇ પ્રકાશકે 'સંતશ્રી આસારામજી સત્ય સાહિત્ય મંદિર'નો સ્ટોલ મૂકી આસારામના પુસ્તકો વેચાણ માટે મૂકતાં શહેરમાં વિવાદ ઊઠ્યો હતો. અગાઉના બુક ફેરમાં આસારામનો સ્ટોલ મૂકનાર તંત્ર પર સગીરા પર બળાત્કારના મામલે આજીવન કારાવાસની સજા પ્રાપ્ત આસારામનો સ્ટોલ ફરી મૂકવા બાબત ભારે પસ્તાળ પડી હતી.
જાણકાર સૂત્રો કહે છે, આજે ઓફલાઇન સ્ટોલ બુકિંગનો છેલ્લો દિવસ છે. પરંતુ ગયા વર્ષે ઓનલાઇન બુકિંગમાં ક્યા પ્રકાશકે સ્ટોલ બુક કરી આસારામનો વિવાદ ઊભો કર્યો તે બાબતે તંત્ર છેક સુધી અંધારામાં રહ્યું હતું. એટલે હવે એમ.જે. લાઈબ્રેરીના ગ્રંથપાલ બિપીન મોદીની રૂબરૂ અરજી તપાસી તેના આધારે સ્ટોલ બુકિંગની જવાબદારી સોંપાઇ છે.
હવે શિયાળામાં યોજાય છે પુસ્તક મેળો
અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા અગાઉ ઉનાળામાં એટલે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં બુક ફેર યોજાતો હતો. પરંતુ તે વખતે સ્કૂલ અને કોલેજમાં પરીક્ષા ચાલતી હોવાથી તેનાં આકર્ષણમાં ઘટાડો થયો હતો. દેશભરમાં મોટાભાગના બુક ફેર શિયાળામાં યોજાય છે. જેના કારણે સત્તાધીશોએ ગયા વર્ષથી શિયાળામાં બુક ફેર યોજવાની નવી પરંપરા શરૂ કરી છે.
રાજ્ય સરકાર 'વાંચે ગુજરાત' મિશન હેઠળ વર્ષ ર૦૧રથી અમદાવાદમાં તંત્ર દ્વારા નેશનલ બુક ફેર યોજાઇ રહ્યો છે. દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ મેળવનાર અમદાવાદમાં નાગરિકોને દર વર્ષે તા.૧૯ થી રપ નવેમ્બર વચ્ચે ઉજવાતા "વર્લ્ડ હેરિટેજ" વીકની સાથે સાથે બુક ફેરનો આનંદ જામી શકે તેવા આશયે તંત્રે મે મહિનાને બદલે નવેમ્બરને પસંદ કર્યા છે.