અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા AMTSના ભોગે BRTSનો વિકાસ કરવાનો કારસો રચાઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. BRTSને સમાંતર દોડતી AMTS બસો આગામી દિવસોમાં બંધ થઈ શકે છે. આજ મુદ્દાને લઈ ફરી એકવાર મ્યુન્સિપલ કમિશનર અને AMTS ચેરમને આમને સામને આવી ચુક્યા છે.
AMTSના અધિકારીઓને યોજાઇ હતી મીટિંગ
AMTSના ચેરમેનને આમંત્રણ ન અપાયું
AMTS બસ અને BRTS બસની સરખામણી
અમદાવાદ શહેરના પરિવહનના નિયામકો દ્વારા જાણે BRTS અને AMTS સર્વિસ વચ્ચે પક્ષપાત રખાઈ રહ્યો હોય તેવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. કેમકે, અકસ્માત, સ્પીડ નિયમનું ઉલ્લંઘન, ટ્રાફિકજામ, અને આર્થિક નુકસાન જેવી અનેક સમસ્યાઓ સર્જનાર BRTS સર્વિસને છાવરવાની અને સમગ્ર દોષનો ટોપલો AMTS પર ઢોળવાની સ્પષ્ટ મનોદશા ઊડીને આંખે વળગી રહી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા હજુ પણ શહેરમાં અકસ્માત માટે વધારે કારણભૂત AMTS સર્વિસને જ ગણાવી રહ્યા છે.
AMTSના અધિકારીઓને યોજાઇ હતી મીટિંગ
થોડાક દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા AMTSના અધિકારીઓની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં BRTSને સમાંતર દોડતા AMTS રૂટ બંધ કરી અન્યત્ર ડાઇવર્ટ કરવાની વાત કરવામાં આવી હતી. સમાંતર રૂટ બંધ કરી કયા રૂટ પર બસો ડાયવર્ટ કરી શકાય તેનો અભ્યાસ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી.
AMTSના ચેરમેનને આમંત્રણ ન અપાયું
મહત્વની બાબત તો એ છે કે કમિશનર દ્વારા જે મીટીંગ બોલાવવામાં આવી તેમાં ચેરમેનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જો કે મીટિંગમાં માત્ર ચર્ચા થઈ છે. પરતું તેને આખરી ઓપ અપાય તે પહેલા AMTSના ચેરમેને અતુલ ભાવસારે વિરોધના સૂર છેડી દીધા છે.
AMTS બસ અને BRTS બસની સરખામણી
AMTS શહેરની શાન ગણાય છે. જે શહેરના મોટાભાગના વિસ્તારો અને વિશાળ વસતિને આવરી લે છે. લાલ બસ તરીકે ઓળખાતી AMTS બસ અને BRTS બસની સરખામણી કરીયે તો શહેરમાં AMTSની 678 બસ દોડે છે. જ્યારે BRTSની 225 બસ દોડે છે. AMTSમાં રોંજિદા 5.60 લાખ મુસાફરો પ્રવાસ કરે છે જ્યારે BRTSમાં રોજ દોઢલાક મુસાફરો પ્રવાસ કરે છે. AMTSની રોજની આવક 24 લાખ છે. જ્યારે BRTSની રોજની આવક 19 લાખ છે. AMTSની વાર્ષિક ખોટ 318 કરોડ છે જ્યારે BRTSને વર્ષે રૂ. 60 કરોડની ખોટ પડે છે.
બન્ને સર્વિસ સરખી રીતે ખોટમાં ચાલે છે
વિસ્તાર અને વ્યાપની દ્રષ્ટીએ જોઈએ તો બન્ને સર્વિસ સરખી રીતે ખોટમાં ચાલી રહી છે. પરંતુ તેમ છતાં BRTSની સેવાને AMTSની સેવા કરતાં વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ મુદ્દે એ AMTS ચેરમેન અને મ્યુનિ. કમિશનર વચ્ચે વિરોધાભાસી નિવેદનબાજી થઈ રહી છે.
બન્ને શહેરી પરિવહન સેવા વચ્ચે છેડાયેલા આ યુદ્ધમાં ક્યાંક જનતાનું હિત ન ઘવાય તે જોજો. કેમ કે, આ પરિવન સેવા માત્ર એક સર્વિસ નથી. પરંતુ શહેરના લાખો ગરીબો અને મધ્યવર્ગીય મુસાફરો માટેની જીવાદોરી પણ છે.