યુવા વિકેટકીપર ઋષભ પંત અને અનુભવી અંબાતી રાયુડુને બુધવારે ભારતીય વર્લ્ડકપ સ્ક્વોડમાં સ્ટેન્ડ બાય જાહેર કરાયા છે. તેમની સાથે IPLમાં પોતાની ઝડપથી બધાને પ્રભાવિત કરનાર નવદીપ સૈનીને પણ ત્રીજા બેકઅપ તરીકે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. 30મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થતા વર્લ્ડકપમાં કોઈ ઈજાગ્રસ્ત થાય તો ત્રણમાંથી ટીમની જરૂરિયાત પ્રમાણે કોઈ એકની પસંદગી થશે.
BCCIના એક ઓફિશિયલે કહ્યું હતું કે, "ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ અમે વર્લ્ડકપ માટે પણ ત્રણ સ્ટેન્ડબાય જાહેર કર્યા છે. ઋષભ પંત અને અંબાતી રાયુડુ અનુક્રમે પહેલો અને બીજો સ્ટેન્ડબાય છે જયારે નવદીપ સૈની બોલર્સના બેકઅપ માટે છે. જો કોઈને ઇજા થાય તો ત્રણમાંથી કોઈ એક ખેલાડી ઇંગ્લેન્ડ જશે."
સોમવારે સાંજે પંત અને રાયુડુની બાદબાકી ચર્ચાનો વિષય બની હતી. સુનિલ ગાવસ્કરે પંતની બાદબાકીને આશ્ચર્યજનક ગણાવી હતી, તો ગૌતમ ગંભીરે રાયુડુની નાપસંદગી ઉપર પ્રશ્ન કર્યો હતો.નોંધ લેવા જેવી બાબત એ છે કે હવે ICCએ પ્રોબેબલ જાહેર કરવું ફરજીયાત નથી રાખ્યું, તેવામાં BCCI જરૂર પડે તો આ 3 સિવાય અન્ય કોઈ ખેલાડીને પણ ટીમમાં સ્થાન આપી શકે છે.