રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
ગુજરાતમાં વરસાદી માહોલ જામશે
અંબાલાલ પટેલે કરી આગાહી
રાજ્યમાં વરસશે હળવો વરસાદ
રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ આગામી સમયમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે. જી, હા આગામી દિવસોમાં વરસાદની ફરી એન્ટ્રી થશે. જોકે આ વખતે ધોધમાર કે ભારે વરસાદની નહીં પરંતુ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજથી હળવા વરસાદની આગાહી- અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આજથી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઑગષ્ટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 5 સપ્ટેબર સુધી વરસાદની શક્યતા છે. 8 થી 11 સપ્ટેબર કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હાલ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં- હવામાન વિભાગ
મહત્વનું છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સાથે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં હાલ ભારે વરસાદથી રાહત મળશે કારણ કે હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.