હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 12થી 19 એપ્રિલ વચ્ચે રાજ્યના હવામાનમાં પલટો આવશે. 23થી 28 એપ્રિલે પવન-આંધી સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતા છે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
12થી 15 એપ્રિલ દરમિયાન વરસાદની શક્યતા
ધરતીપુત્રોના માથેથી હજુ કમોસમી માવઠાનું સંકટ ટળ્યું નથી, હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. ફરી એકવાર કરાયેલી આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. અંબાલાલ પટેલે વરસાદની સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
12થી 19 એપ્રિલ વચ્ચે હવામાનમાં આવશે પલટો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 12થી 19 એપ્રિલ વચ્ચે હવામાનમાં પલટો આવશે. આ દરમિાયન સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. 23થી 28 એપ્રિલે પવન-આંધી સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે પણ કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, ગતરોજ હવામાન વિભાગે કમોસમી વરસાદ અને આકરા તાપની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 09 અને 10 એપ્રિલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધશે. આ બે દિવસ દરમિયાન ગરમીનો પારો 39-40 ડિગ્રી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 09 અને 10 એપ્રિલ બાદ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં 11 અને 12 એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે.
આ વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા
રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતો હજી માવઠાના નુકસાનમાંથી બેઠા નથી થયા ત્યારે વારંવાર આવતા માવઠાથી ખેડૂતોની માઠી દશા થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના કપાસ, જીરું, ચણાં, ઘઉં, રાયડો સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો સરકાર તરફથી વળતરની રાહ જોઈ રહ્યા છે.