બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે, વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે.
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
9 જૂન સુધી વાવાઝોડું દરિયામાં સક્રિય થશે
વાવાઝોડાની ગુજરાતમાં કેવી થશે અસર?
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ હાલ પોરબંદરથી 110 કિલોમીટર દૂર છે. તો ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1 હજાર 30 કિલોમીટર દૂર છે. મહત્વનું છે કે, આ બિપોરજોય વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
વાવાઝોડાના ટ્રેક અંગે કહેવું મુશ્કેલ: અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,'દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. દરિયામાં પવનની ગતિ 70થી 90 કિમી રહેશે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. અરબ સાગર મોટો હોવાથી વાવાઝોડાના ટ્રેક અંગે કહેવું મુશ્કેલ છે. 11થી 14 જૂન ઓમાન તરફ ફંટાતા સમુદ્રના પવનની ગતિ 200 કિમીથી વધુ રહી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર, પૂર્વ, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગમાં 4 ઈંચથી વધુ વરસાદ થઈ શકે છે.'
થોડા કલાકોમાં રૌદ્ર બનશે વાવાઝોડું
તો હવામાન વિભાગે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું થોડા કલાકોમાં રૌદ્ર બનશે. ગુજરાતના દરિયા કિનારે 170 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિપોરજોય વાવાઝોડું વધારે ખતરનાક બનવાની આગાહી છે. 8 જૂનથી વાવાઝોડું અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડું અત્યારે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું ઉત્તર ભાગમાં જતા વધારે ખતરનાક બનવાની સંભવાનાઓ વ્યક્ત કરાઈ છે. 6 કલાક બાદ વાવાઝોડું આક્રામક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ છે. જેના કારણે દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ સમુદ્રમાં 900 કિલોમીટર દૂર છે. જ્યારે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 1 હજાર 20 કિલોમીટર દૂર અને પોરબંદરથી વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં 1 હજાર 90 કિલોમીટરના અંતરે છે. આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવનાઓ છે. આવતીકાલે બપોરથી વાવાઝોડું વધારે ખતરનાક બનવાની શક્યતા છે. 11 જૂન બપોર સુધી વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ સાથે આગળ વધી શકે છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. વાવાઝોડુ ગુજરાતને અસર કરશે તો તોફાની પવન સાથે વરસાદ થઈ શકે છે
વાવાઝોડાના કારણે આજે ક્યાં કેવી અસર થશે?
- પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પર 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
- પશ્ચિમ મધ્ય અને દક્ષિણપૂર્વ અરબ સમુદ્રમાં પણ પવનની ઝડપ 100 કિમીની શક્યતા
- સાંજ સુધીમાં પવનની ઝડપ 125 કિમી થવાની શક્યતા
- ઉત્તર કેરળ-કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા