અંબાજી ત્રિશુલ ઘાટમાં અકસ્માત બાદ આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. RTO વિભાગે વાહન ચકાસણીમાં વધારો કરી અને ઓવરલોડ પેસેન્જર વાહનો સામે કાર્યવાહી કરી છે. જ્યારે બનાસકાંઠાના જિલ્લા આરટીઓ અધિકારીને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે.
બનાસકાંઠા જિલ્લાના આરટીઓ અધિકારી ડી.એસ.પટેલને ફરજમાં બેદરકારી રાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓવરલોડ પેસેન્જર બેસાડનાર ડ્રાઇવરનું લાઇસન્સ રદ કરવા સૂચન કરવામાં આવ્યું છે અને ઓવરલોડ પેસેન્જર બેસાડનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવા પણ RTOએ સૂચન કર્યું છે. સાથે જ રાજ્યના પરિવહન મંત્રીએ આદિવાસી વિસ્તરમાં વધુમાં વધુ બસ ફેરવવાનું કહેવાયું છે.
ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભલગામના એક જ મહોલ્લાના નાના મોટા 35 જેટલા સિપાઈ પરિવારના સભ્યો જીપ ડાલામાં બેસી દાંતા તાલુકાના પહાડી વિસ્તારમાં આવેલા અંતરશા પીરની દરગાહે દર્શન કરવા ગયા હતા. અહીં દર્શન કરી તમામ લોકો અંબાજી ફરવા ગયા હતા. જ્યાંથી સાંજે પરત ફરતાં ત્રિશૂળિયા ઘાટમાં અચાનક ડાલાની બ્રેક ફેઈલ થઈ જતાં ડ્રાયવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ભયજનક વળાંકમાં ડાલુ પલટી ખાઈ ગયું હતું, જેમાં 9 લોકોના મોત થયા હતા.