કોરોના સંક્રમણ ઘટતા ગુજરાત ધીમે-ધીમે અનલૉક તરફ જઈ રહ્યું છે, રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે હવે આજથી અંબાજી મંદિર દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અંબાજી દર્શને જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર
દર્શનના સમયમાં કરાયો ફેરફાર
મંદિરની વેબસાઈટ પરથી મેળવી શકાશે ટોકન
મળતી વિગતો પ્રમાણે, 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવતું અંબાજી મંદિર આશરે દોઢેક મહિના બાદ ગત 12 જૂનથી ફરી એક વખત શ્રદ્ધાળુઓ માટે આજેથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જો કે, હવે મંદિરના દર્શનના સમયમાં અષાઢી સુદ બીજથી ફેરફાર કરવામાં આવ્યો છે.
જાણો શું રહેશે દર્શનનો નવો સમય?
આરતી સવારે - 7.30 થી 8.00
દર્શન સવારે - 8.00 થી 11.30
મંદિર મંગળ - 11.30 થી 12.00
રાજભોગ બપોરે - 12.00 થી 12.30
દર્શન બપોરે - 12.30 થી 04.30
મંદિર મંગળ - 04.30 થી 07.00
આરતી સાંજે - 07.00 થી 07.30
દર્શન સાંજે - 07.30 થી રાતે 9 વાગ્યા સુધી
પ્રવાસન અને યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હવે નહીંવત જેવું છે. ત્યારે યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. તો કેટલાક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા છે.
મંદિરની વેબસાઈટ પરથી મેળવી શકાશે ટોકન
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. તો આ સાથે જ યાત્રાધામ ટ્રસ્ટ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન થાય અને સામાજીક અંતર જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 56 નવા કેસ નોંધાયા છે, તો 1 વ્યક્તિનું સંક્રમણના કારણે મોત નિપજ્યું છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,073 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 196 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,12,718 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 8 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1356 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
ગુજરાતમાં તા 8 અને 9 જુલાઈ દરમિયાન વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે. પરંતુ આવતીકાલ 10 જુલાઈથી ફરી રાજ્યમાં વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરાશે
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 12 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 10 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 5 કેસ, જ્યારે ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 4 કેસ અને ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે.