અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની દહેશતના પગલે હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઈના રોજ શરૂ થવા જઈ રહી છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. બીજી તરફ, જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષાબળ સતત આતંકીઓનો ખાતમો બોલાવી રહ્યું છે. ત્યારે આતંકીઓ ઉશ્કેરાઈને કોઈ આતંકી ઘટનાને અંજામ આપી શકે છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમરનાથ યાત્રા દરમિયાન ફિદાયીન હુમલો આતંકીઓ કરી શકે છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબાના બદલે નાના પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન અલ બદ્ર અને અલ ઉમર મુજાહિદ્દીન સુરક્ષા એજન્સીઓને ચકમો આપીને અમરનાથ યાત્રાની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓને નિશાન બનાવી શકે છે.
તમને જણાવી દઇએ કે, આ વખતે અમરનાથ યાત્રામાં 350થી વધુ CRPFના જવાનોની કંપની તૈનાત કરવામાં આવશે. યાત્રાને લઈને ગૃહ મંત્રાલય અને સુરક્ષાબળે પણ મોટા પાયે તૈયારીઓ કરી છે. પુલવામા હુમલા બાદ સુરક્ષાબળે અનેક પ્રકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમને પણ બદલી નાખી છે. આ વખતે ખાસ કરીને મોટી સંખ્યામાં બુલેટપ્રૂફ અને MPVની ગાડીઓ સામેલ કરવામાં આવશે.
પહેલગામ અને બાલોકટોના બંને રૂટ પર ROP અને એન્ટી સબોટાઝ ટીમની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથો સાથ યાત્રાના રૂટ પર IED બ્લાસ્ટની દહેશતના પગલે BDT ટીમની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો રૂટ પર સીસીટીવી કેમેરા અને ડ્રોનની સંખ્યા પણ બેગણી કરવામાં આવી છે. સાથો સાથ ખાનગી વાહનો માટે પણ આર.એફ. ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે.