કોરોનાકાળ બાદ શરૂ થયેલી અમરનાથ યાત્રામાં 3 હજારથી વધુ શ્રદ્ધાળુઓ કાશ્મીર ઘાટી તરફ રવાના થયા હતા.
બે વર્ષ બાદ ફરી અમરનાથ યાત્રાનો થયો શુંભારંભ
બમ બમ ભોલે...હર હર મહાદેવના નાદ ગગનમાં ગૂંજ્યા
રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ વચ્ચે દર પાંચ ડગલે એક સુરક્ષાકર્મી
કોરોનાના બે વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી એકવાર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. જમ્મૂ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજસિંહાની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આસ્થા અને હર્ષોલ્લાસ સાથે અમરનાથ યાત્રાની શુભ શરૂઆત થઇ છે. આ તકે શ્રદ્ધાળુમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે સાથે બમ બમ ભોલે...હર હર મહાદેવના નાદ ગગનમાં ગૂંજ્યા હતા.
જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજસિંહા દ્વારા અપાઇ લીલીઝંડી
બે વર્ષના સમયગાળા બાદ અમરનાથ યાત્રામાં 8 લાખ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા સેવાઇ રહી છે. નોંધનિય છે કે, સૌથી વધારે સાડા છ લાખ યાત્રાળુઓ 2011માં આવ્યા હતા. ત્યાર બાદ દર વર્ષે 3થી ચાર લાખ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે દર વર્ષે આવે છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના કારણે આ યાત્રા સ્થગિત રાખવી પડી હતી. ત્યારે હવે બે વર્ષના લાંબા સમયગાળા બાદ અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથો રવાના થયો છે. જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજસિંહા દ્વારા લીલીઝંડી અપાયા બાદ અમરનાથ યાત્રીઓએ પ્રસ્થાન કર્યું હતું.
3 હજાર કરતાં વધારે શ્રદ્ધાળુઓ કાશ્મીર ઘાટી તરફ રવાના
અમરનાથ યાત્રા માટે પ્રસ્થાન થતાં યાત્રાળુઓમાં અપાર આનંદ અને આસ્થાનો ભાવ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓ બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયજયકાર સાથે બાબા બરફાની તરફ આગળ વધી રહ્યા છે. પ્રથમ વખત લગભગ 3 હજાર કરતાં વધારે શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારે કાશ્મીર ઘાટી તરફ રવાના થયા હતા. લોકો પહલગામના લાંબા રસ્તે જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જોકે બાલતાલનો રસ્તો નાનો છે. પરંતુ અહીં ભીડ ઓછી જોવા મળી રહી છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે તેવા અનુમાનને ધ્યાને રાખી યાત્રાળુઓ માટે રહેવા અને ભોજનની ઉત્તમ સુવિધા ઊભી કરાવામાં આવી છે. લંગર સમિતિઓની કામગીરીથી યાત્રાળુઓ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
સુરક્ષા અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત
બીજી તરફ આ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો સતત ઝળુંબતો હોવાથી સુરક્ષા અધિકારીઓએ સુરક્ષાવ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. યાત્રા દરમિયાન સુરક્ષાના ખૂબ જ કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. દર પાંચ ડગલે પોલીસ જવાન ખડેપગે છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરના ગેટ વે લખનપુરથી 450 કિ.મી. દૂર પવિત્ર ગુફા સુધી કડક પહેરો છે. સુરક્ષા દળોના 70 હજારથી એક લાખ જવાનો યાત્રા માર્ગમાં તહેનાત છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો સુરક્ષા જમાવડો છે. આ માર્ગ પર તમામ પર્વતો પર સુરક્ષા ચોકીઓ પણ બનાવાઈ છે, આ માર્ગે આવતા લોકોની 24 કલાક દેખરેખ રખાઈ રહી છે. આતંકીઓ દ્વારા ડ્રોનના ઉપયોગની આશંકાને જોતા સંપૂર્ણ માર્ગ પર પહેલીવાર ડ્રોન વિરોધી સિસ્ટમ પણ શરૂ કરાઇ છે. શરૂ થયેલી આ અમરનાથયાત્રા 42 દિવસ સુધી ચાલશે જેનું 11 ઓગસ્ટે સમાપન થશે.