પવિત્ર અમરનાથ યાત્રા એક જુલાઈથી શરૂ થઈ ગઈ છે. 1 જુલાઇથી લઇને 15 ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલશે. આ યાત્રાની સુરક્ષા માટે જમ્મુ-કાશ્મીર સરકાર, સુરક્ષાદળો અને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓના સફાયા માટે ચલાવવામાં આવી રહેલા 'ઑપરેશન ઑલઆઉટ' ના કારણે આ વખતે અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા એજન્સીઓ ખુબ સતર્ક બની છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદના ઓછાયા હેઠળ દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રા દરમિયાન હુમલાનો ખતરો સૌથી વધુ હોય છે. આ કારણે જ સરકાર શાંતિપૂર્ણ રીતે યાત્રા સંપન્ન થાય તે માટે સુરક્ષાકર્મીઓની ફોજ તહેનાત કરી દે છે.
એક લાખથી પણ વધુ તીર્થયાત્રી 3,880 મીટરની ઊંચાઈએ આવેલી અમરનાથ ગુફાના દર્શન કરશે. યાત્રીઓની સુરક્ષા માટે 40 હજારથી વધુ સીઆરપીએફ અને રાજ્ય પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 32 હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.
શું કહે છે અમરનાથ યાત્રાનો ઈતિહાસ?
અમરનાથ ગુફા 1850માં પશુઓ ચરાવતા એક મુસ્લિમ બૂટા મલિક દ્વારા શોધી કાઢવામાં આવી હતી. મલિકના પરિવારની સાથે હિન્દુ શ્રાઈન બોર્ડ પણ મંદિરના સંરક્ષકમાં પણ સામેલ છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ અધિનિયમ 200-01માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ વટહુકમ હેઠળ રાજ્યના રાજ્યપાલની સાથે એક તીર્થમંડળને પણ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તીર્થયાત્રા વ્યવસ્થિત રીતે થાય અને યાત્રીઓને પૂરતી સગવડો મળે તે માટે બોર્ડ ધર્મસ્થળનું સંરક્ષક છે.
ચાર વર્ષ સુધી નહોતી યોજાઈ અમરનાથ યાત્રા
વર્ષ 1991થી 1995 સુધી આતંકવાદી હુમલાના ખતરાના કારણે અમરનાથ યાત્રા યોજવામાં આવી ન હતી. આ સમયગાળા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ તેની ચરમસીમાએ હતો. સરકાર યાત્રીઓનો જીવ જોખમમાં મૂકવા ઈચ્છતી ન હતી.
યાત્રા પર ક્યારે-ક્યારે થયા છે આતંકી હુમલા?
1990થી 2017 દરમિયાન અમરનાથ યાત્રા પર 36 આતંકી હુમલા થયા છે, જેમાં 53 શ્રદ્ધાળુઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2000માં પહલગાંવમાં એક આતંકવાદી હુમલામાં 25 લોકો (17 યાત્રીઓ સહિત)ના મોત થયા હતા, જ્યારે 2017માં દક્ષિણ અનંતનાગના બોટેંગ્રોમાં થયેલા હુમલામાં 8 તીર્થયાત્રીઓના મોત થયા હતા.
સતત વધી રહ્યો છે હુમલાનો ખતરો
પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ કરેલી કડક કાર્યવાહીથી આતંકી સંગઠનોના પાયા હચમચી ગયા છે. સેના અને સુરક્ષાદળો જે રીતે કાશ્મીરમાં સતત આતંકીઓનો સફાયો કરી રહ્યા છે તેનાથી આતંકવાદને પોષતા સંગઠનો રોષે ભરાયા છે અને અમરનાથ યાત્રા પર હુમલો કરવાની ફિરાકમાં છે. ગયા વર્ષે 257 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 115 આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે.