પક્ષમાંથી લાંબી નારાજગી બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું, જ્યારે શંકર ચૌધરી સાથેની મુલાકાત બાદ અલ્પેશની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ થઇ રહી હતી, જોકે લોકસભા ચૂંટણી સુધી અલ્પેશ ભાજપમાં ન જોડાતા તે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ આવી ગયું હતું, પરંતુ ફરી એકવાર અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ ગઇ છે. જોઇએ સમગ્ર અહેવાલ.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે અલ્પેશ ઠાકોરની મુલાકત થતાં ફરી એકવાર અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ ગઇ છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.
સોમવારે રાણીપ સ્થિત અલ્પેશ ઠાકોરના નવનિર્મિત બંગલામાં વાસ્તું હતું. આ સમયે જીતુ વાઘાણી અને પ્રદિપસિંહે હાજરી આપી હતી. ત્યારે હવે અલ્પેશ ઠાકોર સાથે જીતુ વાઘાણી અને પ્રદિપસિંહની મુલાકાત બાદ ફરી એકવાર અલ્પેશની ભાજપમાં જોડાવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી જ અલ્પેશની ભાજપમાં જોડાવાની ચર્ચા શરૂ થઇ ગઇ હતી.