કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ થઇ રહી હતી, જોકે લોકસભા ચૂંટણી સુધી અલ્પેશ ભાજપમાં ન જોડાતા તે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ આવી ગયું હતું, પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે અલ્પેશ ઠાકોરની મુલાકાત બાદ ફરી એકવાર અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ હતી જેને લઇને અલ્પેશ ઠાકોરે ખલાસો કર્યો છે. જોઇએ સમગ્ર અહેવાલ.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે અલ્પેશ ઠાકોરની મુલાકાત મામલે અલ્પેશ ઠાકોરે ખુલાસો કર્યો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, મારા ઘરે એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજામાં જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ હાજરી આપવા માટે આવ્યા હતા. આ કોઈ રાજકીય મુલાકાત ન હતી અને મારા કાર્યક્રમમાં કોને આમંત્રણ આપવું એ મારી અંગત બાબત છે.
તમને જણાવી દઇએ કે, સોમવારે રાણીપ સ્થિત અલ્પેશ ઠાકોરના નવનિર્મિત બંગલામાં વાસ્તું હતું. આ સમયે જીતુ વાઘાણી અને પ્રદિપસિંહે હાજરી આપી હતી. અલ્પેશ ઠાકોર સાથે જીતુ વાઘાણી અને પ્રદિપસિંહની મુલાકાત બાદ ફરી એકવાર અલ્પેશની ભાજપમાં જોડાવાની ચર્ચા શરૂ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી જ અલ્પેશની ભાજપમાં જોડાવાની ચર્ચા શરૂ થઇ ગઇ હતી.