એક બાજુ, કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે તો, બીજી તરફ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. બહાર બધુય ભલે સમુસુતરૂ લાગે પણ વાસ્તવિકતા એછે કે,ભાજપના પ્રદેશના નેતાઓનો જૂથવાદ બરોબર જામ્યો છે. આ તમામ ચર્ચા વચ્ચે શંકર ચૌધરીની જગ્યાએ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવતા ચૌધરી સમાજમાં નારાજગી ફેલાઇ છે.
ચૌધરી સમાજને મનાવવા અલ્પેશનું નિવેદન
શંકર ચૌધરી મારા મોટા ભાઇ સમાન
આ નારાજગી વચ્ચે સોમવારે અલ્પેશ ઠાકોરે ચૌધરી સમાજના લોકોને મનાવવાનો પ્રયાસ કરતા હોય તેમ અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીને મોટા ભાઇ ગણાવ્યા હતા. નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોરને લઇને ચૌધરી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે તેણે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું હોય તે લાગી રહ્યું છે.
અલ્પેશ ઠાકોરનું નિવેદન
ચૌધરી સમાજની નારાજગી દૂર કરવા માટે અલ્પેશ ઠાકોરે એક જાહેરસભામાં નિવેદન આપતા કહ્યું કે, શંકર ચૌધરી મારા મોટા ભાઇ સમાન છે અને શંકર ચૌધરી જ મને ભાજપમાં લઇ ગયા હતા.
આક્ષેપોમાં ઘેરાયાં અલ્પેશ
ગુજરાતમાં પેટા ચૂંટણી માથે છે. ત્યારે કોંગ્રેસના બળદેવજી ઠાકોરે મહેસામાં ઠાકોર સમાજનાં પ્રમુખ અલ્પેશ ઠાકોરને નિશાનો બનાવતાં આક્ષેપ કર્યો છે કે અલ્પેશ ઠાકોર સમાજનાં નામે વેપાર કરી સોદો કરે છે.
આગાઉ પણ અલ્પેશ ઠાકોરે જ્યારે કોંગ્રેસ છોડ્યું હતું ત્યારે પણ રાજકારણમાં આવવા માટે અલ્પેશ ઠાકોરે સમાજનો ઉપયોગ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. હાલ તેઓ ભાજપમાં જોડાયાં છે અને તેઓ ભાજપના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવાનાં છે. ત્યારે ફરી કોંગ્રેસના બળદેવજીએ તેમના પર નિશાનો સાધ્યો છે.