અનામત આંદોલન મુદ્દે અનામત વર્ગ અને બિન અનામત વર્ગે પત્રકાર પરિષદ યોજી હતી. આ મામલે અનામત વર્ગના અલ્પેશ ઠાકોરે LRD ભરતી મુદ્દે સરકારના નિર્ણયને આવકાર્યો છે. 1-8-18નો ઠરાવ પણ સરકાર આગામી સમયમાં રદ્દ કરી શકે છે. તેમને આ ઠરાવ રદ્દ કરવાની માંગ પણ કરી હતી. બીજી તરફ બિન અનામત સમાજ અને સરકારના મધ્યસ્થી યજ્ઞેશ દવેએ પણ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હજુ બેઠક ચાલુ છે, આંદોલનનો સુખદ અંત આવ્યો છે.
સરકાર અને સમાજેે અમને જવાબદારી આપી હતી તે પૂર્ણ કરીઃ યજ્ઞેશ દવે
અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી જણાવ્યુ હતું કે LRD ભરતી મુદ્દે સરકારનો નિર્ણય આવકાર્ય છે. છેલ્લા 70 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી હતી. દિકરીઓને નોકરીથી વંચિત રાખવામાં આવી હતી. ગેરબંધારણીય ઠરાવના કારણે આ સ્થિતિ ઉભી થઇ હતી. અમે મહિલાઓની વાતને સરકાર સુધી પહોંચાડી છે. સરકારે તમામ વર્ગના આગેવાનો સાથે વાત કરી હતી. આ ઠરાવમાં સુધારો કરવા માટે સરકારે તૈયારી દાખવી છે. હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું સરકારે કહ્યું હતું. સરકાર આગામી સમયમાં રદ્દ કરી શકે છે. સરકાર કોર્ટના આદેશ સુધી નવી ભરતીઓ નહીં કરે.
નિર્ણય આવકાર્ય, રાજ્ય સરકારને અભિનંદન પાઠવું છુંઃ અલ્પેશ ઠાકોર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું રાજ્ય સરકારને અભિનંદન પાઠવું છું. બિન અનામત અને અનામત તમામ વર્ગની ગરીબ દીકરીઓને નોકરીઓ મળી છે તે બદલ અભિનંદન પાઠવું છું. સરકારે આગેવાનો, નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આ ભરતીમાં જીઆરની અમલવારી નથી કરતા. અમે જૂની પ્રક્રિયા અનુસાર જ ભરતી કરીએ છીએ. ત્યાં સુધી સરકાર બીજી કોઇ ભરતી નહીં કરે.
ઠરાવ ખોટો રદ્દ થવો જોઇએઃ અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, અમે નવી ભરતીઓ નહીં કરીએ અને જો નવી ભરતીઓ કરીશું તો જુની પદ્ધતિ પ્રમાણે જ કરીશું. તમામ વર્ગની દીકરીઓની 1600થી વધારે બેઠકો વધે છે. સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને અભિનંદન પાઠવીએ છીએ. જીઆરમાં સરકારે સમાધાનકારી રસ્તો અપનાવ્યો છે. પરંતુ આજે પણ સંપૂર્ણ માંગણી કરીએ છીએ કે આજે નહીં તો કાલે જીઆર રદ્દ કરવો જ પડશે. આમારૂ ક્લિયર સ્ટેન્ડ છે, કોર્ટના ચુકાદા બાદ અમે અમારૂ ક્લિયર સ્ટેન્ડ કરીશું. બાબા સાહેબના સંવિધાન અધિકારોના રક્ષણ માટે આવા અન્યાયકારી જીઆર વિરૂદ્ધ છીએ. અમે આનો વિરોધ કરતા રહીશું.
બિનઅનામત વર્ગ તરફના મધ્યસ્થી યજ્ઞેશ દવેએ કહ્યું- હજુ બેઠક ચાલુ છે, આંદોલનનો સુખદ અંત આવ્યો
આ મામલે બિનઅનામતના સંકલન સમિતિના યજ્ઞેશ દવેએ પણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, હજુ બેઠક ચાલુ છે, આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સરકારે અમને જવાબદારી આપી હતી તે પૂર્ણ કરી છે. બન્ને તરફથી અમને જવાબદારી સોંપવામાં આવી હતી. 1180 મહિલાઓમાંથી 880ને તો ઓર્ડર મળી ગયા છે. પરંતુ જે મહિલાઓને ઑડર નથી મળ્યા તેને લઈને ચર્ચા ચાલે છે. તમામ નેતાઓ, અધિકારીઓ અને ભાજપના આગેવાનોનો ખુબ ખુબ આભાર માનું છું.
શું હતો સમગ્ર મામલો?
2018ના પરિપત્રને લઈને ચાલી રહ્યો છે. અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં ધરણા પર બેઠી છે. બંને તરફી માહોલ ગરમાતા સરકારે સમાધાનકારી નિર્ણય કર્યો હતો. વિરોધને શાંત પાડવા સરકારે 1-8-18ના પરિપત્રને ધ્યાને ન લઇને LRDની ભરતીમાં જગ્યા વધારી દીધી છે. જેથી કરીને તમામ વર્ગના 62.5 ટકાથી વધુ માર્ગ મેળવનારી મહિલાઓની ભરતી કરાશે.