ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતનાં રાજકારણમાં બદલાવો થાય તેવી શક્યતા છે. પ્રધાનમંત્રીની ગુજરાતની મુલાકાત બાદ બીજા દિવસે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. નીતિન પટેલની ચેમ્બરમાં નેતાઓની 20 મીનિટ સુધી ચર્ચા ચાલી હતી.
મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ દ્વારા અલ્પેશની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષને પત્ર પણ લખ્યો છે. ત્યારે હવે નીતિન પટેલ સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્કો પણ ઉભા થયા છે.
મહત્વનું છે કે આજે લગભગ ડોઢેક કલાક સુધી અલ્પેશ ઠાકોરની ડે.સીએમ નીતિન પટેલ સાથે મુલાકાત થઇ હતી. ત્યારે તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો અને જે રીતે ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે જેમાં ઠાકોર સેનાનો જે વિસ્તાર છે કે જેમાં ખાસ કરીને પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા કે જ્યાં ભાજપે ખૂબ જ સારા માર્જિનથી જીત હાંસલ કરી છે એટલે એનો શ્રેય અલ્પેશ ઠાકોરને જાય છે.
ત્યારે આજે અલ્પેશે નીતિન પટેલ સાથે અંગત મુલાકાત કરી છે ત્યારે તમને જણાવી દઇએ કે આગામી સમયમાં રાજ્યસભાની બે સીટો ખાલી પડી છે અને આ બે સીટોમાં ભાજપને જીતવા માટે 10 ધારાસભ્યોનો સહારો લેવો પડશે. અલ્પેશ ઠાકોર સહિતનાં કોંગ્રેસનાં અન્ય ધારાસભ્યો સાથેનાં 10 ધારાસભ્યોનો સહારો લેવો પડશે. આજે અલ્પેશ ઠાકોરે એક મહત્વની બેઠક કરી હતી. જેને લઇને અલ્પેશે સીધો એવો સંકેત આપ્યો છે કે તે પોતે આગામી સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે.
બીજા અલ્પેશ સાથે ધવલસિંહ ઝાલા પણ હતાં કે જેઓએ નીતિનભાઇ પટેલ સાથે બેઠક કરી હતી ઉપરાંત અગાઉ પણ તેમને નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે આજની જે આ બેઠક થઇ તેને લઇને અનેક તર્ક વિતર્કો થઇ રહ્યાં છે અને ખાસ કરીને અલ્પેશ ઠાકોરનું ભાજપમાં આવવાનું નિશ્વિત છે તેવાં પ્રકારનાં સંકેતો અહીં જોવા મળી રહ્યાં છે. ઉપરાંત અલ્પેશની જે-જે માંગણીઓ હતી તેને લઇ પણ આ બેઠકમાં ચર્ચા થઇ હોવાની માહિતી સામે આવી રહી છે.
જો કે તમને જણાવી દઇએ કે જો અલ્પેશ ભાજપમાં જોડાશે તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. કેમ કે ગુજરાતની અંદર ઠાકોર, કોળી સમાજની સૌથી વધુ વસ્તી છે એટલે કે 14 ટકા જેટલી વસ્તી છે. ત્યારે અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાય તો આ સમાજને લઇને ભાજપને ઘણો મોટો ફાયદો થઇ શકે છે કેમ કે ઠાકોર સમાજનાં આગેવાન તરીકે અને ખાસ કરીને અલ્પેશ ઠાકોર સાથે ઘણી બધી યુવા વસ્તી જોડાયેલી છે. જેથી તેનો સીધો જ ફાયદો ભાજપને થઇ શકે છે.