અમદાવાદઃ બીન ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાને લઈને ગુજરાતની છબી ખરડાઈ છે. ત્યારે આ હુમલા પાછળ અલ્પેશ ઠાકોર પર અનેક આક્ષેપો થયા છે. જેથી અલ્પેશ ઠાકોરે સદભાવના પ્રતિક ઉપવાસ કર્યા હતા. બિન ગુજરાતી પરિવારની દીકરીના હાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પારણા કર્યા હતા. ત્યારે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠેલા અલ્પેશ ઠાકોરના ઉપવાસ પૂર્ણ થયા છે.
મહત્વનું છે કે હવે અલ્પેશ ઠાકોર સમગ્ર દેશના જુદા-જુદા રાજ્યોમાં પ્રતિક ઉપવાસ કરશે. શરૂઆત ગુજરાતમા પોતાના નિવાસ્થાનેથી જ કરી છે. અલ્પેશ ઠાકોરે ઉપવાસ કરતા પહેલા ગાંધીઆશ્રમ ગયા હતા અને ગાંધીજીની પ્રતિમાને વંદન કરીને સુતરનો હાર પહેરાવીને રામધૂન કર્યા હતા. આ રામધુનમા બિન ગુજરાતી લોકોએ પણ સૂર ઉમેર્યો હતો.
તેમણે ગુજરાતમાં બિન ગુજરાતી પર થયેલા હુમલાને વખોડી કાઢીને અફવા બંધ કરવાની વાત કરી હતી. આ અફવાના કારણે ગરીબ બિન ગુજરાતીને હિજરત કરવી પડી રહી હોવાનુ પણ જણાવ્યું હતું.