અમદાવાદ: કોંગ્રેસના સિનિયર અને યુવા નેતાઓ વચ્ચે નારાજગી જોવા મળી રહી છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ નારાજ છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. અસંતોષ બાદ અલ્પેશ ઠાકોરને હાઈકમાન્ડે દિલ્હીમાં બોલાવ્યા છે.
દિલ્હીનું તેડું આવતા હવે અલ્પેશ આજે સાંજે દિલ્હી જશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોર નારાજ છે. નારાજ નેતાઓની બેઠકમાં પણ અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. અર્જૂન મોઢવાડિયાના ઘરે યોજાયેલી ગુપ્ત બેઠકમાં અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા.
અલ્પેશ ભાજપમાં જોડાશે તેવા સમાચારો થયાં હતા વહેતા
મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થયા હતા. એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવી OBC આંદોલનને પૂર્ણ વિરામ આપવાનો દાવ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ હાલ એવી માહિતી મળી રહી છે કે અલ્પેશ ઠાકોર દ્વારા ભાજપમાં જોડાવાની વાત નકારી છે અને અફવા હોવાનું જણાવ્યું છે.
જો કે અવારનવાર અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના કાર્યક્રમોમાં ગેરહાજરી પણ જોવા મળતી હતી. ત્યારબાદથી અલ્પેશ ઠાકોર ભાજપની ટોચની નેતાગીરી સાથે સંપર્કમાં હોવાની ચર્ચા વહેતી થઇ હતી. જેને લઇને અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહી દીધું છે કે મારી ભાજપમાં જોડાવાની વાત અફવા છે અને મને જાણી જોઇને ટાર્ગેટ કરાયો છે.
ગ્યાસુદ્દીન શેખે પણ પક્ષ સામે વ્યક્ત કરી છે નારાજગી
અગાઉ ગ્યાસુદ્દીન શેખના નિવેદને પણ કકળાટના હવનમાં ઘી નાંખવાનું કામ કર્યુ હતું. કોંગ્રેસમાં નારાજ નેતાઓને લઈને ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યા હતા. ત્યારે વીટીવીની ટીમ સાથે વાત કરતા ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી હતી કે મારી વાતનો અર્થનો અનર્થ થઈ રહ્યો છે. સિનિયરોને સન્માન સાથે આગળ વધવુ જોઈએ.
5થી 7 નેતાઓ એવુ માનતા હોય છે કે પાર્ટીના માલિક છે તો તે ખોટું છે. હાલમાં કોંગ્રેસની સારી સ્થિતિ ચાલી રહી છે. કોંગ્રેસમાં જુનિયર અને સિનિયર નેતૃત્વ એક સાથે રહે છે. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે નેતાના કારણે પાર્ટી નહી પરંતુ કાર્યકરોના કારણે પક્ષ ચાલે છે.