તેજસ્વી યાદવે અનામત મામલે સવાલો ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકારે અનામતનો નિર્ણય ઉતાવળે લીધો હોવાનું તેમણે જણાવ્યું છે. ત્યારે અલ્પેશ ઠાકોરે પણ EBC મામલે નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે SC-ST OBCને વસ્તી પ્રમાણે અનામત મળવી જોઈએ. 78 ટકા વસ્તીને 49 ટકા અનામતનો લાભ મળે છે. જે સમાજની વસ્તી વધારે છે તેમને ઓછી અનામત મળે છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે સવર્ણ સમાજ ગુજરાતમાં 20 ટકા છે. જોકે તેમને અનામત 51 ટકા મળે છે. આ સાથે અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું કે સરકાર આર્થિક અનામત લાવીને અનામત પ્રથા દૂર કરવા તો નથી માગતીને. સાથે જ અનામત મામલે તમામ વર્ગો સાથે રાજનીતિ થઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
તેજસ્વી યાદવના ટ્વીટ પર અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વસ્તીના આધારે અનામત મળવી જોઇએ. સહકારી અને ખાનગી ક્ષેત્રોમાં પણ અનામત મળવી જોઇએ. જાતિ આધારીત રાજનીતિ ન થવી જોઇએ. સવર્ણોને સીધી રીતે 51 ટકા અનામત મળતુ આવ્યું છે. SC-ST-OBCને જનરલ કોટામાં લાભ લેવા દેવામાં આવતો ન હતો.
મહત્વનું છે કે નીતિશ સરકાર બિહાર વિધાન પરિષદના બજેટ સત્રમાં EBC લાગૂ કરવા જઈ રહી છે. ત્યારે RJDએ સંસદમાં સવર્ણ અનામત વિધેયકનો વિરોધ કર્યો હતો. તેવા સંજોગોમાં નીતિશ કુમાર આ મુદ્દાને લોકસભા ચૂંટણીમાં જોરશોરથી ઉછાળી શકે છે.