સિદ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે અલ્પેશ ઠાકોર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ છે કે અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યું છે. પક્ષે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસના 17 ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો ખોટો છે. હું કોંગ્રેસનો વફાદાર છું અને કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરતો રહીશે. હું મારા મતદારો સાથે દ્રોહ કરી શકું નહીં.
આનંદ ચૌધરીનું નિવેદન
કોંગ્રેસમાં નારાજગીને લઇને કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ નિવેદન આપ્યું. આનંદ ચૌધરીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરમાં સત્તાની લાલસા છે. કોંગ્રેસે અલ્પેશને ઘણું બધું આપ્યું છે. ચૂંટણી પેહલા અને ચૂંટણી બાદ તેમનું વર્તન બધા જાણે છે. આ સાથે જ તેઓએ કહ્યું કે, હું કોંગ્રેસથી નારાજ નથી. હું કોંગ્રેસ સાથે છું અને આગળ પણ રહીશ. રાજ્યસભાની ચુંટણી કોંગ્રેસ માટે સારી રહેશે.
અલ્પેશ ઠાકોરે તાજેતરમાં આપ્યું છે રાજીનામું
ઠાકોર સમાજના અગ્રણી અને કોંગ્રેસમાં જોડાનાર અને ત્યારબાદ ધારાસભ્ય થનાર અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. જેથી કોંગ્રેસ આ મામલે હરકતમાં આવી છે.