અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભા જીત મેળવી છે ત્યારે બંને રાજ્યસભાના પણ સાંસદ છે જેને લઇ તેઓએ હવે રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપવું પડશે. એટલે ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની સીટ ખાલી થાય છે. ત્યારે ગુજરાતમાં ફરીવાર રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની શકે છે અને અહેમદ પટેલ વખતે જેવી સ્થિતિ થઇ હતી તેવી જ સ્થિતિ ફરી વખત થઇ શકે છે.
અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર તેજ હુમલા અને નીતિન પટેલ સાથેની મુલાકાત બાદ રાજ્યસભાની ચૂંટણીના સમીકરણ બદલાઇ શકે છે. જો સમીકરણ ન બદલાય તો ભાજપ-કોંગ્રેસને એક-એક સીટ મળી શકે છે. જો કે અહેમદ પટેલની જેમ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલ્ટો કરે તો કોંગ્રેસને મુશ્કેલી પડી શકે છે. બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનબાજી કરતા જોવા મળે છે. જ્યારે કોંગ્રેસના બીજા ધારાસભ્યો પણ હાલમાં ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
અલ્પેશ ઠાકોર એવો દાવો કરી રહ્યા છે કે, કોંગ્રેસમાં 10 જેટલા ધારાસભ્યો નારાજ છે અને કોંગ્રેસના આ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કે પક્ષપલ્ટો કરે તો મુશ્કેલી થઇ શકે છે. જ્યારે અપક્ષ, એનસીપી, બીટીપીના ધારાસભ્યો ભાજપને ટેકો કરે તો ભાજપ માટે રાજ્યસભામાં જીત મેળવવી આસાન બની જશે. હાલની સ્થિતિએ રાજ્ય સભાની ચૂંટણીમાં એક ઉમેદવારે 62 મત મેળવવા પડશે અને હાલ ભાજપ પાસે ધારાસભ્યો છે અને કોંગ્રેસ પાસે 71 સીટ વિધાનસભામાં છે.
જ્યારે બે અપક્ષ, બે બીટીપી અને એક અપક્ષ ધારાસભ્ય વિધાનસભામાં છે. તો તાલાળા, દ્વારકા અને મોરવા હડફની વિધાનસભા સીટ હાલ ખાલી પડી છે. એટલે કે ફરી એકવાર રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની શકે છે.